Vadodara Corporation : વડોદર શહેરના નવા બજાર વિસ્તારમાં આવેલા ટોપીવાલાના ખાંચામાં એક મિલકતમાં લઘુમતી કોમના વ્યક્તિ દ્વારા બાંધકામ શરૂ કરવામાં આવતા કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ વિભાગે બાંધકામ અટકાવવા મનાઈ હુકમ આપ્યો હોવા છતાં ગેરકાયદે બાંધકામ યથાવત ચાલુ રાખવામાં આવતા વિવાદ સર્જાયો છે. આ અંગે આસપાસના દુકાનદારોએ આ મામલે મ્યુનિસિપલ કમિશનર, કલેકટર, વોર્ડ ઓફિસર સહિત સંબંધિત અધિકારીઓને લેખિત રજૂઆત કરી બાંધકામ થતું અટકાવવાની કાર્યવાહી કરવાની માંગ કરી છે.
વેપારીઓએ રજૂઆતમાં જણાવાયું છે કે, આ વિસ્તાર અશાંતધારા હેઠળ આવતો હોવાથી મિલકત સંબંધિત કોઈપણ હસ્તાંતરણ અને બાંધકામ માટે કાયદેસરની પ્રક્રિયા ફરજિયાત છે. અગાઉ “દયાળ પેટીસ” તરીકે ઓળખાતી આ મિલકતમાં લઘુમતી કોમની વ્યક્તિ દ્વારા ગેરકાયદે બાંધકામ કરવામાં આવી રહ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ જરૂરી દસ્તાવેજો અને આધાર પુરાવા માંગવા છતાં રજૂ કરવામાં આવતા નથી. દુકાનદારોએ આક્ષેપ કર્યો છે કે, બાંધકામ દરમિયાન આસપાસની દુકાનોના પાણી, ગેસ અને ડ્રેનેજના જોડાણો કાપી નાખવામાં આવ્યા છે, જેના કારણે વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વિવાદિત મિલકત મૂળ હિન્દુ માલિકીની હોવાનું પણ રજૂઆતમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આ મામલે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બાંધકામ પર મનાઈ હુકમ ફરમાવ્યો હતો. કોર્પોરેશને સંબંધિત વ્યક્તિને સાત દિવસમાં જરૂરી પુરાવા અને મંજૂરીના દસ્તાવેજો રજૂ કરવા જણાવ્યું હતું. જો પુરાવા રજૂ નહીં કરવામાં આવે તો ગેરકાયદે બાંધકામ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી ચેતવણી આપવામાં આવી છે.
એટલુ જ નહીં અગાઉ આ મિલકત જર્જરિત થઈ ગઈ હતી તે અંગેની પણ નોટિસ વોર્ડ કક્ષાએથી આપવામાં આવી હતી તેમ છતાં લઘુમતી કોમના વ્યક્તિ દ્વારા મનાઈ હુકમ હોવા છતાં ગેરકાયદે રીતે બાંધકામ કરવાનું ચાલુ રાખતા વિવાદ સર્જાયો છે. જેથી ફરી એકવાર વેપારીઓએ ગેરકાયદે થતા બાંધકામને અટકાવવા માંગણી કરી છે.


