પશ્ચિમ રેલવેના જનરલ મેનેજરે યુધ્ધથી ઉદ્દભવેલી પરિસ્થિતી અંગે સતર્ક હોવાનું જણાવી લેવલ ક્રોસિંગની સમસ્યા ઘટાડવા પર ભાર મૂક્યો છે.
પ્રદીપકુમારે જણાવ્યું હતું કે, દિલ્હી-મુંબઈ સેક્શનમાં કવચ (ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન) સિસ્ટમ કાર્યરત થવાથી ટ્રેનોની સલામતીમાં નોંધપાત્ર વધારો થશે. વડોદરા-નાગદા રેલવે સેક્શન સ્વદેશી કવચ સિસ્ટમથી સજ્જ થયો છે. અગાઉ વડોદરાથી મુંબઈ લાઈન પર વિરાર સુધી તેમજ વડોદરાથી અમદાવાદ સુધી આ સિસ્ટમ સ્થાપિત કરાઈ છે. હવે આગામી તબક્કામાં અમદાવાદથી પાલનપુર અને ઓખા તરફ કવચ સિસ્ટમ લાગુ કરવાની યોજના છે.
વધુમાં જણાવ્યું હતું કે, કોરોના દરમિયાન બંધ થયેલી પેસેન્જર ટ્રેનો અને ઉત્તરવાહિની પરિક્રમા માટે વધારાના સ્ટોપેજ અંગે મુસાફરોની જરૂરિયાત અને રેલવે ઓપરેશનને ધ્યાનમાં રાખીને ડિવિઝન સ્તરે વિચારણા બાદ નિર્ણય લેવાશે.
રેલવે ટ્રેક રહેણાંક વિસ્તારોમાંથી પસાર થવાના કારણે નાગરિકોને પડતી મુશ્કેલીઓ અંગે જણાવ્યું હતું કે, ઓવરબ્રિજ અને અંડરપાસના કામો માટે રાજ્ય સરકાર સાથે સંકલન કરીને કામગીરી આગળ ધપી રહી છે. બને તેટલા વધુ લેવલ ક્રોસિંગ બંધ થવાથી ટ્રેનોની ગતિ વધશે તેમજ નાગરિકોની સુરક્ષા અને સુગમતા બંનેમાં વધારો થશે.
વર્તમાન આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઓઇલ અને એલપીજી જેવી આવશ્યક વસ્તુઓના પરિવહન પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. કોઈપણ પરિસ્થિતિમાં લોજિસ્ટિક ચેઈન જળવાઈ રહે તે માટે રેલવે વિભાગ સતત દેખરેખ રાખી રહ્યું છે.


