Gujarat

અમદાવાદમાં કોરોનાના નવા ૧૮ કેસ નોંધાતા શહેરીજનો ઉચાટમાં

By GS Team
17 Nov 20211 min read
This article was originally published on 17 Nov 2021
અમદાવાદમાં કોરોનાના નવા ૧૮ કેસ નોંધાતા શહેરીજનો ઉચાટમાં

 અમદાવાદ,મંગળવાર,16 નવેમ્બર,2021

અમદાવાદ શહેરમાં મંગળવારે કોરોનાના નવા ૧૮ કેસ નોંધાતા શહેરીજનોમાં કોરોનાના વધી રહેલા સંક્રમણને ઉચાટ વધવા પામ્યો છે.સોમવારે નોંધાયેલા કેસના સંક્રમિત લોકોની બહાર આવેલી ટ્રાવેલ હીસ્ટ્રી પ્રમાણે બેંગ્લોર,કેરાલા,કાશ્મીર અને દૂબઈ જઈ પરત ફરેલા સંક્રમિત થયા છે.

આ અંગે મળતી માહિતી મુજબ,દિવાળી પર્વ બાદ શહેરમાં ફરી એક વખત કોરોના સંક્રમણ વધવા પામ્યુ છે.મંગળવારે કોરોનાના નવા ૧૮ કેસ નોંધાવા પામ્યા છે.કોરોનાથી એક પણ મોત થવા પામ્યુ નથી.ત્રણ કોરોના સંક્રમિત દર્દી સાજા થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.મંગળવારે શહેરમાં ૫૦૧૫ લોકોને કોરોના વેકિસનનો પહેલો ડોઝ અને ૩૧૩૫૮ લોકોને રસીનો બીજો ડોઝ મળી કુલ ૩૬૩૭૩ લોકોને કોરોના વેકિસન અપાઈ હતી. ઘર સેવા વેકિસનેશન યોજના હેઠળ અત્યાર સુધીમાં કુલ ૩૪૮૫ લોકોએ રજિસ્ટ્રેશન કરાવતા ૨૯૧૧ લોકોને રસી આપવામાં આવી છે.

કોરોના વેકિસનેશનમાં વધારો થાય એ માટેબીજા ડોઝ લેનારાને ખાદ્ય તેલ અપાશે

અમદાવાદ શહેરમાં કોરોના વેકિસનેશનમાં બીજો ડોઝ લેનારા લોકોની સંખ્યા વધે એ માટે ખાદ્ય તેલ આપવા નિર્ણય કરવામાં આવ્યો છે.આ અંગે મળતી માહિતી મુજબ,મ્યુનિ.ભાજપની મળેલી મંગળવારી બેઠકમાં હવે પછીના સમયમાં કોઈ પણ કમિટીના ચેરમેન કોઈ નિતી વિષયક નિર્ણય લે એ પહેલા પ્રભારીને જાણ કરી એમની મંજુરી મેળવ્યા બાદ જ જાહેરાત કરે એવી સુચના આપવામાં આવી છે.ઉપરાંત શહેરમાં કોરોના વેકિસનનો બીજો ડોઝ લેનારા લોકોને ખાદ્ય તેલ આપવા માટે પાંચ લાખ પાઉચ ખરીદવા નિર્ણય કરાયો છે.