Get The App

શહેરના ૧૪ મુખ્ય માર્ગો પર લારી-ગલ્લા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકાયો

લારી-ગલ્લા સમયસર ન હટાવનાર સામે જપ્તી સહિતની કાર્યવાહી થશે

લારી- ગલ્લાધારકોને રાત્રે ૧૧ વાગ્યા સુધી ધંધાની મંજૂરી

Updated: Jun 3rd, 2026

GS TEAM

Google News
Google News
શહેરના ૧૪ મુખ્ય માર્ગો પર લારી-ગલ્લા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકાયો 1 - image

મ્યુનિ.કોર્પોરેશને શહેરમાં વધતી ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખીને જાહેર રસ્તાઓ પરના દબાણો અને ટ્રાફિકને અવરોધરૂપ બનતા લારી-ગલ્લાઓ સામે કડક કાર્યવાહી કરવા પરિપત્ર જાહેર કરી વિવિધ વિભાગોને સધન કાર્યવાહી માટે સૂચના આપી છે.

મ્યુનિ.કોર્પોરેશનની જમીન-મિલકત શાખા (કોમર્શિયલ)ની જાહેર નોટિસ મુજબ, હવે શહેરના તમામ સ્ટ્રીટ વેન્ડર્સને સાંજે ૭થી રાત્રે ૧૧ વાગ્યા સુધી જ લારી, ગલ્લા અને પથારા પર ધંધો કરવાની મંજૂરી રહેશે. દરેક વેપારીને માત્ર એક જ લારી રાખવાની મંજૂરી રહેશે. લારી સિવાય મુકવામાં આવેલા ટેબલ, ખુરશી, શેડ અને અન્ય દબાણો દૂર કરાશે.

સ્ટ્રીટ વેન્ડિંગ એક્ટ-૨૦૧૪ના નિયમ-૧૪ હેઠળ મ્યુનિ. કોર્પોરેશનને ટાઈમ શેરિંગના આધારે વેન્ડિંગનો સમય નક્કી કરવાનો અધિકાર છે. તેના આધારે હાલ જે સ્થળે વેન્ડર્સ ધંધો કરે છે ત્યાં જ તેઓ રાત્રે ૧૧ વાગ્યા સુધી વ્યવસાય કરી શકશે. ત્યારબાદ તમામ લારી-ગલ્લા અને માલસામાન સ્થળ પરથી હટાવી જગ્યા ખાલી કરવી ફરજિયાત રહેશે. નિયમનો ભંગ કરનાર સામે લારી-ગલ્લા જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરાશે.

આ ઉપરાંત, ટ્રાફિક અને સ્વચ્છતાને ધ્યાનમાં રાખી શહેરના ૧૪ મુખ્ય માર્ગો અને વિસ્તારોમાં કાયમી ધોરણે સ્ટ્રીટ વેન્ડિંગ પ્રવૃત્તિ પર પ્રતિબંધ મૂકાયો છે. દરેક રસ્તાઓ પર ટ્રાફિકને નડતરરૂપ દબાણો હટાવવાની કામગીરી વોર્ડ કક્ષાએથી નિયમિત કરવા જણાવાયું છે.

આ ૧૪ માર્ગો પર કાયમી ધોરણે લારી-ગલ્લા પર પ્રતિબંધ મૂકાયો 

એરપોર્ટથી અક્ષરચોક, ચકલી સર્કલથી ગોત્રી તળાવ, યોગ સર્કલથી અકોટા દાંડિયા બજાર બ્રિજ (શનિદેવમંદિર ચાર રસ્તા), સરદાર એસ્ટેટથી આજવા ચોકડી, એરપોર્ટ સર્કલથી ગોલ્ડન ચોકડી, વૃંદાવન ચોકડીથી બાપોદ વાઘોડિયા હાઈવે), સોમાતળાવથી કપુરાઈ ચોકડી, નરહરિ સર્કલથી કાલાઘોડા, જેલરોડ થઈ ખંડેરાવ માર્કેટ, સુસેન ચાર રસ્તાથી જાંબુવા હાઈવે, સુશેન ચાર રસ્તાથી શ્રેયસ સ્કૂલ, યોગ સર્કલથી કેનાલ ચાર રસ્તા (પ્રિયા ટોકિઝ), ડીલક્ષ સોસાયટી ચાર રસ્તાથી મહેસાણાનગર સોસાયટી- નવરચના સ્કૂલ- નાનુભાઈ ટાવર- જીઆઈપીસીએલ સર્કલ-મંગલપાડે રોડ- રાત્રિબજાર, કોઠી ચાર રસ્તાથી જ્યુબિલી બાગ સર્કલ તેમજ સુરસાગર આસપાસનો વિસ્તાર અને ખોડિયારનગર ચાર રસ્તાથી સુપર બેકરી-સરદાર એસ્ટેટ ચાર રસ્તા પર કાયમી ધોરણે સ્ટ્રીટ વૅડીંગ પ્રવૃત્તિ કરી શકાશે નહિ, મતલબ કે ઉપરોક્ત રસ્તાઓ પર કોઈ પણ સમયે લારી - ગલ્લા ઊભા રાખી શકાશે નહિ.

તમામ જંકશનોથી ૩૦ મીટરમાં લારી-ગલ્લા દૂર કરવા જણાવાયું 

પોલીસ વિભાગના અગાઉના જાહેરનામાને આધારે શહેરના તમામ ટ્રાફિક જંક્શનો અને સર્કલથી ૩૦ મીટરના વિસ્તારમાં આવેલા દબાણો, લારી-ગલ્લા અને અન્ય અવરોધો દૂર કરવા તાત્કાલિક કાર્યવાહી કરાશે. તમામ જંકશનો પર ડાબી તરફ વળાંક ખુલ્લા રાખવાની અને જરૂરિયાત મુજબ નવા ડિવાઈડર, બોલાર્ડ તેમજ સ્પ્રિંગ પોસ્ટ લગાવવાની સૂચના અપાઈ છે.

મ્યુનિ.કોર્પોરેશનના પ્લોટો પાર્કિંગ માટે ખુલ્લા મૂકાશે 

શહેરમાં પાર્કિંગની સુવિધા વધારવા માટે મ્યુનિ.કોર્પોરેશનની માલિકીના નિર્ધારિત પ્લોટોને પાર્કિંગ માટે ખુલ્લા પાર્કિંગના બોર્ડ લગાવવામાં આવશે, મૂકવામાં આવશે. દરેક પ્લોટ પર જમીનનું લેવલિંગ કરી સુરક્ષા માટે ફેન્સિંગ કરાશે.

શહેરમાં ૩૦ હજાર સ્ટ્રીટ વેન્ડર્સ- વૈકલ્પિક માર્ગ પર સ્થળાંતર કરશે 

શહેરમાં વર્ષ ૨૦૧૯ દરમિયાન સ્ટ્રીટ વેન્ડર્સની સંખ્યા ૨૨ હજાર હતી, જે હાલ વધીને ૩૦ હજાર સુધી પહોંચી છે. અત્યારે ૧૪ મુખ્ય માર્ગો પર પ્રતિબંધ મૂકાયો છે, આગામી દિવસોમાં અન્ય માર્ગોનો પણ એ યાદીમાં સમાવેશ કરાશે. આ ૧૪ માર્ગો પરના વેપારીઓ અન્ય આસપાસના વૈકલ્પિક રસ્તાઓ પર વેપાર કરવા માટે સ્થળાંતર કરશે.