Get The App

બે વ્યાજખોરો દ્વારા બિલ ગામના યુવક પાસેથી રૂ.1 લાખના સામે રૂ.1.11 લાખથી વધુ વ્યાજની વસૂલાત કર્યાની ફરિયાદ

Updated: Jun 9th, 2026

GS TEAM

Google News
Google News
બે વ્યાજખોરો દ્વારા બિલ ગામના યુવક પાસેથી રૂ.1 લાખના સામે રૂ.1.11 લાખથી વધુ વ્યાજની વસૂલાત કર્યાની ફરિયાદ 1 - image

Vadodara : વડોદરામાં ગેરકાયદેસર વ્યાજખોરીનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. કમ્પ્યુટર ટ્રેનર તરીકે નોકરી કરતા યુવકે બે શખ્સો સામે ઊંચા વ્યાજે નાણાં ધીરધાર આપીને લાખો રૂપિયાનું વ્યાજ વસૂલવા, જાનથી મારી નાખવાની ધમકી આપવા અને લેપટોપ સહિતનો સામાન લઈ જવાના આક્ષેપો સાથે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

બીલ ગામમાં રહેતા ચંદનભાઈ અશોકભાઈ વિશ્વકર્મા મુજમહુડા વિસ્તારમાં આવેલી અનન્યા કોમ્પ્લેક્સમાં કોમ્પ્યુટર ટ્રેનર તરીકે નોકરી કરે છે. અગાઉ તેઓ ફર્નિચરનો વ્યવસાય કરતા હતા. વર્ષ 2024 દરમિયાન તેમના ભાઈ નિલેશ વિશ્વકર્માના ગેરેજ પર આવતા વિકાસ સુરેન્દ્રસિંહ રાજપૂત અને ભરત પ્રધાનની સાથે તેમની ઓળખાણ થઈ હતી. વ્યવસાય માટે નાણાંની જરૂરિયાત અંગે વાતચીત દરમિયાન બંનેએ મદદ કરવાની ખાતરી આપી હતી.

ચંદનભાઈના જણાવ્યા મુજબ અક્ષર ચોક નજીક આવેલી એક પાનની દુકાન પર થયેલી મુલાકાત દરમિયાન ભરત પ્રધાનાનીએ પોતાના ઘરના ફર્નિચરનું કામ સોંપ્યું હતું. રૂ.11 લાખમાં નક્કી થયેલું કામ પૂર્ણ થયા બાદ ચંદનભાઈએ પોતાના ધંધા માટે રૂ.1 લાખની જરૂરિયાત હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ વિકાસ રાજપૂત અને ભરત પ્રધાનાનીએ તેમને ધિરાણ આપવાની તૈયારી દર્શાવી હતી. ફરિયાદ મુજબ જૂન-2024માં આરોપીઓએ રૂ.1 લાખના ધિરાણ સામે રૂ.90 હજાર રોકડા આપ્યા હતા અને રૂ.10 હજાર વ્યાજ તરીકે અગાઉથી કાપી લીધા હતા. સાથે જ દર મહિને 10 ટકા વ્યાજ ચૂકવવાની શરત મૂકી હતી. ધિરાણની સુરક્ષા માટે ફરિયાદીનો HDFC બેન્કનો ચેક તેમજ તેમના ભાઈનો કોટક મહિન્દ્રા બેન્કનો ચેક લેવામાં આવ્યો હતો.

વ્યાજ પેટે મૂળ રકમ કરતાં વધુ ચૂકવણી

ચંદનભાઈએ પોલીસને જણાવ્યું હતું કે જુલાઈ-2024થી જાન્યુઆરી-2025 દરમિયાન તેમણે રૂ.80 હજાર રોકડ વ્યાજ ચૂકવ્યું હતું. ત્યારબાદ ફેબ્રુઆરીથી એપ્રિલ-2025 દરમિયાન ભરત પ્રધાનાનીની પત્ની ગીતાબેનના બેન્ક ખાતામાં રૂ.31 હજાર જમા કરાવ્યા હતા. આમ કુલ રૂ.1.11 લાખથી વધુ રકમ વ્યાજ પેટે ચૂકવ્યા છતાં આરોપીઓની માંગણીઓ યથાવત રહી હતી.

વ્યાજની વધુ રકમ ચૂકવવામાં અસમર્થતા દર્શાવતા વિકાસ રાજપૂત અને ભરત પ્રધાનાની ફરિયાદીના ભાઈના ગેરેજ પર પહોંચ્યા હતા. ત્યાં બંનેએ ગાળો આપી ચક્રવર્તી વ્યાજ વસૂલ કરવાની ધમકી આપી હતી. આરોપીઓએ જણાવ્યું હતું કે જો વ્યાજની રકમ નહીં ચૂકવાય તો ગેરેજનો સામાન લઈ જઈ તેમાંથી વસૂલાત કરવામાં આવશે. આરોપીઓએ ધમકી આપ્યા બાદ ગેરેજમાં રહેલો સામાન તેમજ ફરિયાદીનું લેનોવો કંપનીનું લેપટોપ કબજે કરી લીધું હતું. સાથે જ પોલીસ ફરિયાદ કરવાના પરિણામે જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ધમકીઓના કારણે ફરિયાદી લાંબા સમય સુધી ગભરાયેલા રહ્યા હતા અને પોલીસનો સંપર્ક કર્યો ન હતો. તાજેતરમાં વિકાસ રાજપૂત વિરુદ્ધ અન્ય ફરિયાદો નોંધાઈ હોવાની જાણ થતાં ચંદનભાઈએ હિંમત કરીને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે વિકાસ સુરેન્દ્રસિંહ રાજપૂત અને ભરત પ્રધાનાની સામે ગેરકાયદે વ્યાજખોરી, ધમકી અને માલસામાન કબજે કરવા સહિતના મુદ્દે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.