Surat : સુરત પાલિકામાં થયેલા કચરા કૌભાંડને છુપાવવા ખજોદ ડમ્પિંગ સાઈટ પર આગ લગાવવામાં આવી હોવાના આક્ષેપ થઈ રહ્યો છે. ખજોદમાં આગ લગાવવામાં આવી છે કે આગ લાગી છે તે અંગે અનેક અટકળો થઈ રહી છે ત્યારે પાલિકાએ આગ અંગે ખુલાસો કર્યો છે તે ચર્ચાનો વિષ બન્યો છે. પાલિકાએ એક યાદી જાહેર કરી ખુલાસો કર્યો હતો કે, કચરામાં આગ ગરમીના કારણે મીથેન ગેસ ઉત્પન્ન થતા આગ લાગી છે. પાલિકાએ કરેલો ખુલાસો પાલિકા કેમ્પસમાં ચર્ચાનો વિષય બની ગયો છે.
સુરત પાલિકામાં 213 કરોડનો કોન્ટ્રાક્ટ પૂરો થયા બાદ નવા કોન્ટ્રાક્ટર નહી મળતા વધુ 10 મહિના માટે કૌભાંડી એજન્સીને કચરા નિકાલની કામગીરી સોંપવામાં આવી છે. દરમિયાન છેલ્લા 52 દિવસમાં સતત બીજી વાર લાગેલી આગ શંકાનું કારણ બની છે. છેલ્લા ઘણાં સમયથી કચરામાં લાગેલી આગ લાગી છે કે લગાવવામાં આવી રહી છે તે અંગે અનેક અટકળો થઈ રહી છે. આ આગ કૌભાંડ છુપાવવા માટે લગાડી હોવાના આક્ષેપ જોરશોરમાં થઈ રહ્યાં છે. આ અંગે મ્યુનિ. કમિશ્નરથી માંડીને મુખ્યમંત્રી સુધી ફરિયાદ કરવામાં આવી છે.
આવા અનેક આક્ષેપો વચ્ચે સુરત મ્યુનિ.એ એક અખબારી યાદી જાહેર કરી છે તેમાં કચરાની આગનું કારણ જણાવવામા આવ્યું છે. મ્યુનિ. તંત્રએ કચરાની આગનું કારણ જણાવ્યું છે કે, ખજોદ ડિસ્પોઝલ સાઇટ ખાતે આર.ડી.એફ કચરામાં આગ આગ બુઝાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આજરોજ સુધી ફાયર બ્રિગેડની 13 ગાડીઓ દ્વારાપાણીનો સતત છંટકાવ 6 જેસીબીઅને 11 પોક્લેન મશીનો દ્વારા સતતકચરાનું ટર્નિંગ, ફાયર લાઇન બનાવવી તેમજ માટી કવરિંગ જેવી કામગીરી હાથ ધરવામાં આવેલ. છેલ્લા ૩ દિવસથી તમામ ઝોનમાંથી 105 ફેરા માટીની ટ્રક દ્વારા સેક્શન બનાવવાની કામગીરી ચાલી રહી છે.
મ્યુનિ. તંત્રએ જણાવ્યું છે કે, કચરાની અંદર ઉત્પન્ન થતા મીથેન ગેસના કારણે આગની શક્યતા હજી પણ રહેલી છે, તેથી તેને સંપૂર્ણપણે નિયંત્રણમાં લેવા માટે તમામ જરૂરી પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. કચરા કૌભાંડમાં ડમ્પીંગ સાઈટમાં ભીષણ આગ લગાવવામાં આવેલ હોવાના આક્ષેપો વચ્ચે હવે પાલિકા દ્વારા જે ખુલાસો કરવામાં આવ્યો છે તે હાલની સ્થિતિમાં ગળે ઉતરે તેમ નથી. જેના કારણે પાલિકાનો આ ખુલાસો લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.


