Chhota Udaipur News: છોટાઉદેપુરમાં આજે અનેક સરકારી ઇમારતો અને ખાનગી મકાનો એવી હાલતમાં છે કે જાણે કોઈ મોટી દુર્ઘટનાની કાગડોળે રાહ જોઈ રહ્યા હોય, સ્થાનિક લોકોમાં ફફડાટ છે કે જો સમયસર આ ઇમારતો પર કાર્યવાહી નહીં થાય, તો કોઈ દિવસ મોટી જીવલેણ ઘટના સર્જાઈ શકે છે. નગરપાલિકાની જૂની ઈમારત હોય કે માર્ગ-મકાન વિભાગની સરકારી ચાલીઓ, આ બિલ્ડિંગો આજે ગંભીર રીતે જર્જરિત બની ગઈ છે, જ્યાં છત પરથી કાટમાળ પડવો હવે સામાન્ય વાત બની ગઈ છે. હાલ સ્થાનિકો તંત્ર પાસે તાત્કાલિક સર્વે અને કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.
ઊંઘતી નગરપાલિકા શેની રાહ જોઈ છે!
છોટાઉદેપુર નગરપાલિકાની જૂની બિલ્ડિંગ આજે પણ ખૂબ જર્જરિત હાલતમાં ઉભી છે. ક્યારે પડે તે કોઈને ખબર નથી, કારણ કે ઇમારતોમાં મોટી તિરાડો પડી ગઈ છે. છત પરથી પોપડા અને કાટમાળ પડે તેમાં કોઈ નવાઈ નથી, ઉપરથી નગરપાલિકાની આ બિલ્ડિંગ નીચે જ કેટલીક દુકાનો આવેલી છે. આ કારણે દુકાન પર આવતા ગ્રાહકોમાં પણ ડર જોવા મળ્યો છે. નગર પાલિકાના ચીફ ઓફિસર હાલ લીપાપોતી કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે જૂની નગરપાલિકા સહિત 18 જેટલી ઇમારતો જર્જરીત અવસ્થામાં છે. જે જૂની બિલ્ડિંગ નીચે દુકાનો આવેલ છે. તેને નોટિસ આપવામાં આવી છે.
જૂની સરકારી ચાલીઓ પણ જોખમી સ્થિતિમાં
બીજી તરફ છોટાઉદેપુર શહેરમાં માર્ગ અને મકાન વિભાગની જૂની સરકારી ચાલીઓ પણ ખંડેર હાલતમાં છે. ચાલીઓમાં આજે પણ કેટલાક કર્મચારીઓ રહે છે. અને આ ચાલી મુખ્ય માર્ગ પર આવેલી હોવાથી વધુ જોખમકારક છે. અગાઉ ચાલીઓના કેટલાક મકાનોના છતના નાના ભાગો પણ જમીનદોસ્ત થયા છે, જોકે સદભાગ્યે જાન હાનિ થઈ ન હતી પણ મજબૂરીમાં રહેતા કર્મચારીઓ અને આસપાસના સ્થાનિકો તંત્ર પાસે માગ કરી રહ્યા છે કે તેમને સુરક્ષિત સ્થળે ખસેડી માટે મકાન બનાવીને આપવામાં આવે.
કુલ 91 મકાનો તોડવાના છે, ચાલી મંજૂરી હવે મળશે: અધિકારી
લોકોનું કહેવું છે કે જોઈ કોઈ પગલાં લેવામાં ન આવે તો ગમે તે દિવસ મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. માર્ગ મકાન વિભાગના અધિકારીનું પણ માને છે કે છોટાઉદેપુર નગરમાં વિસ્તારમાં આવેલ સરકારી મકાનો ખૂબ જૂના અને જર્જરિત હાલતમાં છે. જેને તોડવાની પરમિશન મળી ગઈ છે. કુલ 91 મકાનો તોડવાના છે. સરકારી ચાલી છે તેની મંજૂરી મળતા તોડી પાડવામાં આવશે.
પરંતુ સવાલ એ છે કે આ કાર્યવાહી ક્યારે શરૂ થશે? લોકોની માંગ છે કે કોઈનો જીવ જાય તે પહેલા આ 'ડેથ ટ્રેપ' સમાન ઇમારતોને જમીનદોસ્ત કરવામાં આવે. હવે જોવાનું એ રહે છે કે મોટી દુર્ઘટના પહેલા તંત્ર કેટલી સજાગતા બતાવે છે.


