Gujarat

ભાવનગર જિલ્લાના 11 નાયબ મામલતદારની બઢતી સાથે બદલી

By GS Team
2 Nov 20212 mins read
This article was originally published on 2 Nov 2021
ભાવનગર જિલ્લાના 11 નાયબ  મામલતદારની બઢતી સાથે બદલી

- ભાવનગર જિલ્લાના 7 મામલતદારની બદલી કરાઈ 

- બોટાદ જિલ્લાના 2 નાયબ મામલતદારની બઢતી સાથે બદલી, 1 મામલતદારની બદલી 

ભાવનગર : ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા રવિવારે મોડીરાત્રીના સમયે નાયબ મામલતદારની બઢતી સાથે બદલીના ઓર્ડર કર્યા હતા અને મામલતદારોની સામુહીક બદલી કરી હતી, જેમાં ભાવનગર અને બોટાદ જિલ્લાના કેટલાક નાયબ મામલતદાર, મામલતદારનો સમાવેશ થાય છે. નાયબ મામલતદારોને મામલતદારના પદ પર બઢતી આપી સરકારે દિવાળીની ભેટ આપી હોય તેમ ચર્ચાય રહ્યુ છે. કર્મચારીઓને બઢતી મળતા તેઓની દિવાળી સુધરી ગઈ હોવાનુ જાણવા મળેલ છે. 

મહેસૂલ વિભાગે રવિવારે મોડીરાત્રીના સમયે ૧૧૮ નાયબ મામલતદારને મામલતદારના પદ પર બઢતી આપવામાં આવી હતી અને સાથે બદલી કરવામાં આવી હતી, જેમાં ભાવનગર જિલ્લાના ૧૧ નાયબ મામલતદારની બઢતી સાથે બદલી કરવામાં આવી છે. બોટાદ જિલ્લાના ર નાયબ મામલતદારને મામલતદાર તરીકે બઢતી આપવામાં આવી હતી. મહેસૂલ વિભાગે રાજ્યાના ૧પપ મામલતદારની સામૂહીક બદલી કરી હતી. ભાવનગર જિલ્લાના ૭ મામલતદારની બદલી કરવામાં આવી છે, જેમાં જેસર, ઉમરાળા, વલ્લભીપુર, ડિઝાસ્ટર, મનપાના મ.ભો.યો., ચૂંટણી, અધિક ચીટનીશ વગેરે મામલતદારની જુદા જુદા સ્થળે બદલી કરવામાં આવી છે. બોટાદ જિલ્લાના પણ એક મામલતદારની બદલી કરવામાં આવી છે. 

મામલતદારના પદ પર બઢતી આપવામાં આવતા નાયબ મામલતદારોમાં આનંદની લાગણી ફરી વળી છે. કેટલાક મામલતદારોને પણ સારી સ્થળે બદલી મળતા તેઓમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કેટલાક મામલતદારોમાં નારાજગી હોવાનુ ચર્ચાય રહ્યુ છે. અન્ય જિલ્લામાં ફરજ બજાવતા મામલતદારોની ભાવનગર અને બોટાદ જિલ્લામાં બદલી કરવામાં આવી છે. આગામી દિવસોમાં મામલતદારો બદલીના સ્થળે હાજર થશે તેમ જણાય રહ્યુ છે.