Get The App

વિદ્યાર્થીઓને આત્મહત્યા કરતા રોકવા માટે હોસ્ટેલમાં સ્પ્રિંગવાળા પંખા લગાવવામાં આવે

Updated: Feb 18th, 2026

GS TEAM

Google News
Google News
વિદ્યાર્થીઓને આત્મહત્યા કરતા રોકવા માટે  હોસ્ટેલમાં સ્પ્રિંગવાળા પંખા લગાવવામાં આવે 1 - image

વડોદરાઃ સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર વિદ્યાર્થીઓની આત્મહત્યાને રોકવા તથા તેમના માનસિક સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને નેશનલ ટાસ્ક  ફોર્સની રચના કરવામાં આવી છે.આ ટાસ્ટ ફોર્સના નિર્દેશ પ્રમાણે હવે સરકારના શિક્ષણ વિભાગ દ્વારા એમ.એસ.યુનિવર્સિટી સહિતની શૈક્ષણિક સંસ્થાઓને હોસ્ટેલમાં કેટલાક ફેરફાર કરવા માટે સૂચના આપી છે.જે ચર્ચાનો વિષય બની છે.

આ અંગે પૂછતા યુનિવર્સિટીના ઈન્ચાર્જ રજિસ્ટ્રાર ડો.ચૂડાસમાએ કહ્યું હતું કે, યુનિવર્સિટીની હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ આત્મ હત્યા ના કરે તે માટે હોસ્ટેલના દરેક રુમમાં હૂકવાળા પંખાની જગ્યાએ સ્પ્રિંગવાળા પંખા લગાવવાની અને બાલ્કનીમાં જાળીઓ લગાવવાની સૂચના આપવામાં આવી છે.જે પ્રમાણે જોવામાં આવે તો હોસ્ટેલમાં ૫૦૦ જેટલા રુમો છે અને આ દરેક રુમમાં પંખા બદલવા પડશે. હોસ્ટેલમાં રુમની પાછળની તરફ તો જાળીઓ છે પરંતુ આ સૂચના પ્રમાણે હોસ્ટેલ બિલ્ડિંગમાં આગળની તરફ પણ જાળીઓ લગાવવી પડશે.જોકે આ સૂચના અત્યારે તો હોસ્ટેલના બિલ્ડિંગો પૂરતી જ છે.

ઉલ્લેખનીય છે કે, નેશનલ ટાસ્ક ફોર્સે અગાઉ વિદ્યાર્થીઓ પોતાની સમસ્યાઓ અંગે વાત કરી શકે તે માટે વિદ્યાર્થી મિત્રોની નિમણૂક કરવામા માટે કહ્યું હતું અને યુનિવર્સિટીએ વિવિધ ફેકલ્ટીઓમાં વિદ્યાર્થી મિત્રોની પણ નિમણૂક કરી છે.

માત્ર પંખા બદલવાથી આત્મહત્યા અટકશે?

શૈક્ષણિક આલમમાં એવી પણ ચર્ચા છે કે, માત્ર  સ્પ્રિંગવાળા પંખા અને જાળી લગાવવાથી આત્મહત્યા રોકી શકાશે? ઉપરાંત હોસ્ટેલના બિલ્ડિંગોની બાલ્કનીને જાળી વડે કવર કરવાની જ અત્યારે સૂચના છે પણ કોલેજોના બિલ્ડિંગોની બાલ્કનીને કવર કરવાનો કોઈ ઉલ્લેખ આદેશમાં કરવામાં આવ્યો નથી. ઉલટાનું આવા આદેશોનો અમલ કરવાના કારણે  યુનિ.ના તંત્રનું ભારણ અને દોડધામ વધશે.

હજી કોઈ લેખિત આદેશ મળ્યો નથીઃ ચીફ વોર્ડન

યુનિવર્સિટી હોસ્ટેલના ચીફ વોર્ડનને આ અંગે પૂછવામાં આવતા તેમણે કહ્યું હતું કે, હોસ્ટેલના તંત્ર પાસે અત્યારે તો આવો કોઈ  આદેશ આવ્યો નથી.યુનિવર્સિટી સત્તાધીશો તરફથી જે પણ સૂચના મળશે તેનું પાલન કરવામાં આવશે.