Get The App

આગામી ચોમાસુ સીઝન માટે બિયારણ, ખાતર, દવાની ખરીદીમાં કાળજી જરૃરી

Updated: May 14th, 2026

GS TEAM

Google News
Google News
આગામી ચોમાસુ સીઝન માટે બિયારણ, ખાતર, દવાની ખરીદીમાં કાળજી જરૃરી 1 - image

ગત વર્ષે ખાતર, બિયારણ, દવાના ૪૯ સેમ્પલ ફેઇલ

ના. ખેતી નિયામક દ્વારા જિલ્લાના ૯ લાખ ખેડૂતોને સાવચેતી રાખવા તાકીદ

ભાવનગર - આગામી ચોમાસુ પાક માટે ખેડૂતો દ્વારા હાલના સંજોગોમાં ખાતર, બિયારણ, દવાની ખરીદી થતી હોય છે ત્યારે સ્ટાન્ડર્ડ ખરીદી થાય તે હેતુ નાયબ ખેતી નિયામક દ્વારા તકેદારી રાખવા અપીલ કરાઇ છે. જો કે, ગત વર્ષે કુલ ૪૯ સેમ્પલ ફેઇલ થયા હતાં.

સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ ગત વર્ષે જિલ્લાના વિવિધ એગ્રો સહિતની પેઢીમાંથી લીધેલ સેમ્પલમાં બિયારણના ૧૦, જંતુનાશક દવાના ૧૪ અને ખાતરના ૨૫ નમૂના લેબોરેટરીમાં નાપાસ જાહેર થયેલા છે. ત્યારે આગામી ચોમાસુ સીઝન માટે જરૃરી બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી કરતી વખતે માત્ર અધિકૃત લાયસન્સ, પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ ખરીદી કરવાનો આગ્રહ રાખવા જણાવાયું છે. બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી સમયે વેપારી પાસેથી તેનું લાયસન્સ નંબર, પુરૃ નામ, સરનામુ, ખરીદેલ ઇનપુટનું નામ, લોટ નંબર વિગેરે વિગત દર્શાવતું પાકુ બીલ સહી સાથે અવશ્ય લેવું. કોઇપણ સંજોગોમાં મુદત પુરી થયેલ હોય તેવા ઇનપુટોની ખરીદી કરવી નહીં. હંમેશા વૈજ્ઞાાનિક ભલામણ મુજબના જથ્થામાં જ બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવા તાકીદ કરાઇ છે. અનઅધિકૃત અથવા ભળતા નામના અમાન્ય બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓનું વચાણ થતું હોવાનું જો ધ્યાને આવે તો તાત્કાલિક સંબંધિત ખેતીવાડી અધિકારી અથવા જિલ્લાના નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)ને તુરંત જાણ કરવા જણાવાયું છે.