Get The App

કેન્દ્ર દ્વારા ગુજરાતને અન્યાય! 4 વર્ષમાં મળતા ફંડમાં 13000 કરોડનો ઘટાડો: CAG રિપોર્ટ

Updated: Mar 26th, 2026

GS TEAM

Google News
Google News
કેન્દ્ર દ્વારા ગુજરાતને અન્યાય! 4 વર્ષમાં મળતા ફંડમાં 13000 કરોડનો ઘટાડો: CAG રિપોર્ટ 1 - image

CAG Report: કેગના રિપોર્ટ મુજબ ગુજરાત સરકારને કેન્દ્ર સરકાર તરફથી મળતું સહાયક અનુદાન એટલે કે ફંડ ચાર વર્ષમાં 13 હજાર કરોડ રૂપિયાથી વધુ ઘટ્યું છે. 2020-21માં કેન્દ્ર સરકાર તરફથી 27178.29 કરોડ રૂપિયા અનુદાન મળ્યું હતું, જે 2024-25માં 14127.04 કરોડ રૂપિયા નોંધાયું હતું. કેગના એનાલિસિસ પ્રમાણે ગુજરાતના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન સામે ભારત સરકાર તરફથી સહાયક અનુદાન 1.68 ટકાથી ઘટીને ગત વર્ષે 2024-25માં 0.53 ટકા જ રહ્યું હતું. આમ, ફંડ-ગ્રાન્ટ ઘટતા સરકારે જુદી જુદી રીતે આવક વધારવા અને ઋણ વધારવા પર નિર્ભર રહેવું પડે છે.

GSDP સામે ગ્રાન્ટમાં મોટો ગાબડો

કેગ દ્વારા જાહેર કરવામાં આવેલા ગુજરાતની નાણાકીય પરિસ્થિતિના 2024-25ના અહેવાલ મુજબ રાજ્યના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શનની ટકાવારીની રીતે કેન્દ્ર સરકારના સહાયક અનુદાનમાં મોટો ઘટાડો નોંધાયો છે. 2020-21માં સહાયક અનુદાનની ટકાવારી 1.68 ટકા હતી, જે ઘટીને 2024-25માં 0.53 ટકા રહી હતી. 2022-23 અને 2023-24માં 1.05 ટકાની આસપાસ માત્ર થોડા સમય માટે સ્થિર રહી હતી. પરંતુ 2024-25માં પાછલા વર્ષની તુલનાએ લગભગ 50 ટકાનો ઘટાડો થયો હતો. જેના પગલે રાજ્યની પોતાની આવકના એકત્રીકરણ અને ઋણ પર નિર્ભરતા વધી છે.

આ પણ વાંચો: 1 એપ્રિલથી પેઈનથી માંડી તાવ સુધીની દવાઓ થશે મોંઘી, 1000થી વધુ મેડિસિનના ભાવ વધશે

યોજનાવાર ફાળવણીમાં વધ-ઘટ

કેન્દ્ર પુરસ્કૃત યોજના માટે 8624.70 કરોડ રૂપિયાનું અનુદાન નક્કી થયું હતું, જેમાંથી 4865.8 કરોડ રૂપિયાની ફાળવણી થઈ હતી. પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણમાં 132.90 ટકાનો અને સમગ્ર શિક્ષણમાં 9.98 ટકાનો વધારો થયો છે. શહેરી કાયાકલ્પ મિશન અંતર્ગત 176.41 ટકાનો વધારો થયો છે. આરોગ્ય મિશન હેઠળ 9.47 ટકાનો અને સક્ષમ આંગણવાડી-પોષણ યોજનામાં 46.63 ટકાનો સૌથી મોટો ઘટાડો નોંધાયો છે.

15મા નાણા પંચ દ્વારા કરાયેલી આ પાંચ યોજના હેઠળ 5437.59 કરોડ રૂપિયાની ભલામણ સામે રાજ્યને 5233.56 કરોડ રૂપિયા મળ્યા હતા. જેમાંથી રાજ્ય સરકાર દ્વારા 4540.97 કરોડ રૂપિયા એટલે કે 86.77 ટકાનું ફંડ છૂટું કરવામાં આવ્યું હતું.

હવાની ગુણવત્તા બગડતા 59 કરોડ ઓછા મળ્યા

કેગ રિપોર્ટ મુજબ ભારત સરકાર દ્વારા નાણા પંચનું અનુદાન ઓછું ફાળવવા પાછળ જે કારણ દર્શાવ્યું છે તેમાં હવાની ગુણવત્તા બગડવાનું મુખ્ય છે. શહેરી વિકાસ-ગૃહનિર્માણે કેગ સમક્ષ રજૂ કરેલી માહિતી પ્રમાણે ડિસેમ્બર 2025માં 10 લાખથી વધુ વસ્તીવાળા શહેરો હવાની ગુણવત્તા માટેના અનુદાન હેઠળ હવાની ગુણવત્તા બગડવાને કારણે 59 કરોડ રૂપિયા મેળવી શક્યા હતા. પાત્રતાની રકમ કરતા 59 કરોડ રૂપિયાની રકમ ઓછી ફાળવાઈ હતી. હવાની ગુણવત્તા માટેની કામગીરીના ફંડમાં 20.56 કરોડ પ્રાપ્ત થયા હતા. સેવા સ્તરની બેન્ચમાર્ક સિદ્ધિઓના આધારે ઘટાડેલી ગ્રાન્ટ ફાળવી હતી.