Get The App

સાબરકાંઠા: 'તારા માટે છોકરી જોવા જવું છે' કહી દિયરની ફિલ્મી ઢબે કરાવી હત્યા, ચોંકાવનારુ કારણ સામે આવ્યું

Updated: Feb 6th, 2026

GS TEAM

Google News
Google News
સાબરકાંઠા: 'તારા માટે છોકરી જોવા જવું છે' કહી દિયરની ફિલ્મી ઢબે કરાવી હત્યા, ચોંકાવનારુ કારણ સામે આવ્યું 1 - image


Prantij Crime Case: સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સાદોલીયા ગામમાં માનવતાને શરમાવે તેવી એક સનસનીખેજ ઘટના સામે આવી છે. જેમાં એક ભાભીએ પોતાના પ્રેમ સંબંધમાં અવરોધ બનતા દિયરની પૂર્વયોજિત કાવતરું ઘડી હત્યા કરાવી દીધી છે. લગ્ન માટે છોકરી જોવા જવાના બહાને દિયરને ઇકો કારમાં લઈ જઈ ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો.

શું હતી સમગ્ર ઘટના?

સાદોલીયા ગામના 40 વર્ષીય વિષ્ણુસિંહ મકવાણાને પોતાની ભાભી કોકીલાબેન અને ગામના જ દોલતસિંહ મકવાણા વચ્ચે પ્રેમ સંબંધ હોવાની શંકા હતી. આ બાબતે પરિવારમાં અવારનવાર ઝઘડા થતા હતા. પોતાના આડાસંબંધોમાં દિયર નડતરરૂપ બનતો હોવાથી ભાભી કોકીલાબેને તેને કાયમી માટે રસ્તામાંથી દૂર કરવાનો નિર્ણય લીધો હતો.

2 લાખ રૂપિયાની સોપારી અને ફિલ્મી ઢબે હત્યા

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, કોકીલાબેને પ્રેમી દોલતસિંહ સાથે મળીને વિષ્ણુસિંહની હત્યા કરવા માટે રૂ.2 લાખની સોપારી આપી હતી. દોલતસિંહે આ કામ માટે વિક્રમસિંહ મકવાણા અને અનોડિયા ગામના રમેશસિંહ રાઠોડને તૈયાર કર્યા હતા.

4 ફેબ્રુઆરીના રોજ વિષ્ણુસિંહને 'તારા માટે લગ્ન માટે છોકરી જોવાની છે' તેમ કહી વિશ્વાસમાં લઈ ઇકો કારમાં બેસાડ્યા હતા. રસ્તામાં આરોપીઓએ વિષ્ણુસિંહને ગળે ટૂંપો આપી હત્યા કરી દીધી હતી અને લાશને કાલીપુરા-લવારી રોડ પર જેટકો વીજ કંપનીની દીવાલ પાસે કચરાના ઢગલામાં ફેંકી દીધી હતી.

આ પણ વાંચો: ડિટર્જન્ટ અને યુરિયાથી બનતું હતું 'ઝેરી' દૂધ, પ્રાંતિજમાં સત્યા ડેરી સામે કાર્યવાહી, 4ની ધરપકડ, મુખ્ય આરોપી ફરાર

પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલ્યો

વિષ્ણુસિંહ ગુમ થયા અંગેની ફરિયાદ બાદ પ્રાંતિજ પોલીસે તપાસ હાથ ધરી હતી. લાશ મળી આવ્યા બાદ કડક પૂછપરછમાં આ સમગ્ર મર્ડર મિસ્ટ્રીનો પર્દાફાશ થયો હતો. હિંમતનગર ડીવાયએસપી એ.કે. પટેલે જણાવ્યું હતું કે પોલીસે મુખ્ય સૂત્રધાર ભાભી સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

ઝડપાયેલા આરોપીઓની વિગત:

• કોકીલાબેન નવલસિંહ મકવાણા (મુખ્ય કાવતરાખોર ભાભી)
• દોલતસિંહ અર્જુનસિંહ મકવાણા (પ્રેમી)
• વિક્રમસિંહ કાળુંસિંહ મકવાણા (સહ-આરોપી)
• રમેશસિંહ અર્જુનસિંહ રાઠોડ (સહ-આરોપી)

હિંમતનગર ડીવાયએસપી એ જણાવ્યું હતું કે. 'પ્રેમ સંબંધ અને પારિવારિક વિખવાદને કારણે આ હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો. ચારેય આરોપીઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે અને વધુ પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી ચાલુ છે.'

આ પણ વાંચો: ન્યાય મળ્યો પણ જીવ છૂટ્યો, 20 રૂપિયાની લાંચના આરોપમાં 27 વર્ષે નિર્દોષ છૂટેલા પોલીસકર્મીનું કોર્ટના ચુકાદા બાદ નિધન