Ahmedabad News: કુવૈતથી દિલ્હી જઈ રહેલી ઇન્ડિગોની ફ્લાઇટમાં બોમ્બ હોવાની ચિઠ્ઠી મળતા મુસાફરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. સુરક્ષાના કારણોસર વિમાનને તાત્કાલિક અમદાવાદના ઇન્ટરનેશનલ ઍરપોર્ટ પર ડાયવર્ટ કરી ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું.
વિમાનમાં 186 લોકો સવાર હતા
પ્રાપ્ત માહિતી અનુસાર, ફ્લાઇટ જ્યારે આકાશમાં હતી ત્યારે ક્રૂ મેમ્બરને ફ્લાઇટમાં ટીશ્યુ પેપર પર હાઇજેક અને બોમ્બથી ઉડાવીને ધમકી મળી હતી. પાયલટે તુરંત એર ટ્રાફિક કંટ્રોલ(ATC)નો સંપર્ક કર્યો અને પ્રોટોકોલ મુજબ વિમાનને સૌથી નજીકના ઍરપોર્ટ એટલે કે અમદાવાદ તરફ વાળવાનો નિર્ણય લીધો. વિમાનમાં 180 મુસાફરો અને 6 ક્રૂ મેમ્બર મળી કુલ 186 લોકો સવાર હતા.
ઍરપોર્ટ પોલીસ સ્ટેશનના પીઆઇ એન. ડી. નકુમના જણાવ્યાનુસાર, 'આ ધમકી મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ હતી અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDS) દ્વારા વિમાનનું સંપૂર્ણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જોકે તપાસમાં કોઈ વાંધાજનક વસ્તુ મળી નથી. હાલમાં પ્લેન ચેક કરવાની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને પ્રોટોકોલ મુજબ આગળની તપાસ ચાલુ છે.'


