Get The App

ભાવનગર કોર્પોરેશનમાં 1995થી ભાજપ અપરાજીત: કોંગ્રેસને ન નફો, ન નુકસાન

Updated: Apr 29th, 2026

GS TEAM

Google News
Google News
ભાવનગર કોર્પોરેશનમાં 1995થી ભાજપ અપરાજીત: કોંગ્રેસને ન નફો, ન નુકસાન 1 - image

2021 નું પુનરાવર્તન, ભાજપને સત્તાનું સુકાન પણ સીટમાં વધારો નહીં

ભાજપના ૫૨, કોંગ્રેસે ૫૦ મળી કુલ ૧૫૦ ઉમેદવાર ચૂંટણી મેદાનમાં હતા, ૨૦૨૧ની તુલનામાં ૫.૩૭ ટકા ઉંચું છતાં ભાજપને બેઠકો વધવાની આશા ઉપર પાણી ફરી વળ્યું

ભાવનગર -  ભાવનગર કોર્પોરેશનમાં ૧૯૯૫થી ભાજપની શરૃ થયેલી વિજય યાત્રાને કોંગ્રેસ રોકી શકી નથી. અપરાજીત ભાજપે ભલે સાતમી વખત સત્તાનું સુકાન સંભાળશે પણ બેઠકો વધવાની આશા ઉપર મતદારોએ ઠંડું પાણી ફેરવી દીધું છે.

ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ૫૪.૮૪ ટકા મતદાન થયું હતું. કુંભારવાડા વોર્ડના કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ અમાન્ય રહેતા આ વોર્ડમાં પેનલનું પુનરાવર્તન થવાની સંભાવના હતી. પીરછલ્લા વોર્ડમાં કોંગ્રેસના મહિલા ઉમેદવારે રણછોડ બની ફોર્મ પાછું ખેંચી લીધું હતું. જેના કારણે ભાજપને ટક્કર આપવા કોંગ્રેસના માત્ર ૫૦ ઉમેદવારો જ મેદાનમાં રહ્યા હોય, બીએમસીની સત્તામાં ભાજપનું સંખ્યાબળ વધશે તેવું લાગી રહ્યું હતું. પરંતુ આજના ચૂંટણી પરિણામોએ ૨૦૨૧નું પુનરાવર્તન કર્યું છે. ગત ટર્મમાં ભાજપને ૪૪ બેઠક મળી હતી. તેટલી જ બેઠક ૨૦૨૬ની ચૂંટણીમાં મળી છે. ૪૪ બેઠક સાથે આગામી પાંચ વર્ષ સુધી ભાજપ બહુમતીના જોર સત્તા ચલાવશે. બીજી તરફ ૨૦૨૧ની ચૂંટણીમાં ૧૦ સીટની ખોટ ખાનારી કોંગ્રેસ પાર્ટીને ગત ટર્મનું નુકસાન ભરપાઈ થશે તેવું આશા હતી. પરંતુ કોંગ્રેસને આ ચૂંટણી ન નફો, ન નુકસાન બનીને રહી છે. ગત ટર્મ જેટલી જ આઠ બેઠક આ ચૂંટણીમાં પણ મેળવી કોંગ્રેસે સંતોષ માન્યો છે. કોર્પોરેશનમાં કોંગ્રેસ બેઠી નથી થઈ શકતું તેનું કારણે જનતાનો મજબૂત અવાજ બનવામાં કચાસ છે. ત્યારે ૨૦૨૬ના જનાદેશને તો કોંગ્રેસ બદલી નહીં શકે પરંતુ ૨૦૩૧ માટે આંતરિક ટાંટિયાખેંચ બંધ કરી અત્યારથી જ આત્મમંથન કરવાની તાતિ જરૃરત છે.