Get The App

વડોદરા કોર્પોરેશનના નિર્ણય પ્રક્રિયામાં બદલાવ : વિકાસના નિર્ણયોમાંથી ભાજપ સંગઠનની બાદબાકી, સ્થાયી સમિતિને અપાઈ સર્વોચ્ચ સત્તા

Updated: Jun 17th, 2026

GS TEAM

Google News
Google News
વડોદરા કોર્પોરેશનના નિર્ણય પ્રક્રિયામાં બદલાવ : વિકાસના નિર્ણયોમાંથી ભાજપ સંગઠનની બાદબાકી, સ્થાયી સમિતિને અપાઈ સર્વોચ્ચ સત્તા 1 - image

Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના વિકાસકાર્યો અને મહત્વના વહીવટી નિર્ણયોમાં હવે ભાજપ સંગઠનની સીધી ભૂમિકા લગભગ સમાપ્ત થઈ ગઈ હોવાનું સામે આવ્યું છે. પ્રદેશ ભાજપના નિર્દેશ બાદ કોર્પોરેશનની સ્થાયી સમિતિની બેઠક પહેલાં ભાજપ કાર્યાલય ખાતે યોજાતી સંકલન બેઠકની વર્ષો જૂની પરંપરા બંધ કરવામાં આવી છે. હવે વિકાસના કામો અને એજન્ડા સંબંધિત અંતિમ નિર્ણય લેવાની સર્વોચ્ચ સત્તા સ્થાયી સમિતિને સોંપવામાં આવી હોવાનું જાણવા મળે છે.

ભાજપ સત્તામાં આવ્યા બાદથી કોર્પોરેશનની સ્થાયી સમિતિની બેઠક પહેલાં પક્ષ કાર્યાલય ખાતે સંકલન બેઠક યોજાતી હતી. આ બેઠકમાં શહેર ભાજપ પ્રમુખ, મહામંત્રી તેમજ સંગઠનના વિવિધ હોદ્દેદારો કોર્પોરેશનના એજન્ડા અંગે પોતાના મંતવ્યો અને સૂચનો રજૂ કરતા હતા. ત્યારબાદ મહત્વના મુદ્દાઓ અંગે રાજકીય સ્તરે ચર્ચા-વિચારણા થતી હતી.

પરંતુ હવે પ્રદેશ ભાજપના આદેશ અનુસાર આ પ્રથાનો અંત લાવવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ કોર્પોરેશનના એજન્ડા અને મહત્વના ઠરાવો સીધા પ્રદેશ નેતૃત્વ સુધી પહોંચાડવામાં આવશે અને સ્થાનિક સંગઠનની દખલગીરી મર્યાદિત રહેશે. આ નિર્ણય પાછળ સંગઠન અને ચૂંટાયેલા પદાધિકારીઓ વચ્ચે વધતી આંતરિક ખેંચતાણ તથા જૂથવાદને મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર વિકાસના કામોમાં વિલંબ અને આંતરિક મતભેદોની ફરિયાદો ગાંધીનગર સુધી પહોંચતા પ્રદેશ નેતૃત્વે સમગ્ર મામલાની ગંભીર નોંધ લીધી હતી. ત્યારબાદ નિર્ણય પ્રક્રિયાને સરળ બનાવવા અને વિકાસકાર્યોને ગતિ આપવા માટે આ પગલું ભરવામાં આવ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

 ભાજપ શહેર પ્રમુખ ડો.જયપ્રકાશ સોનીએ પણ સ્વીકાર્યું છે કે પ્રદેશ સ્તરેથી આ નિર્ણય લેવામાં આવ્યો છે અને હવે ભાજપ કાર્યાલય ખાતે સંકલન બેઠક યોજાશે નહીં. તેમણે જણાવ્યું હતું કે નવી વ્યવસ્થા મુજબ વિકાસકાર્યો અને એજન્ડા અંગેની પ્રક્રિયા નિર્ધારિત માળખા મુજબ આગળ વધશે.

 આ નિર્ણય બાદ રાજકીય વર્તુળોમાં વિવિધ ચર્ચાઓ શરૂ થઈ છે. એક તરફ સંગઠનના પ્રભાવમાં ઘટાડો થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે, તો બીજી તરફ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સ્થાયી સમિતિની ભૂમિકા વધુ મજબૂત બની હોવાનું ચર્ચાઈ રહ્યું છે. હવે આ નવા માળખાની શહેરના વિકાસકાર્યો પર શું અસર થાય છે તેના પર સૌની નજર રહેશે.