- નડિયાદ-મહુધા રોડ પણ વીણા પાટિયા પાસે
- નડિયાદ ગ્રામ્ય પોલીસે ગાડીના ચાલક સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી
નડિયાદ : નડિયાદ-મહુધા રોડ પર વીણા પાટિયા નજીકથી પસાર થતાં મોટરસાયકલને ગાડીએ ટક્કર મારતા ગંભીર રીતે ઇજા પામેલા બાઈક ચાલકનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે નડિયાદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
નડિયાદ તાલુકાના પીપળાતા ગામના કંસારી વિસ્તારમાં રહેતા તુષારભાઈ દીપસિંહ પરમાર ટાઇલ્સની મજુરી કરી જીવન ગુજરાન ચલાવે છે. સોમવારે સવારના આશરે આઠેક વાગ્યાના સુમારે તેમના કુટુંબી કાકા જાલમસિંહ ગેમાભાઈ પરમારનો દીકરો રવિન્દ્ર ઘરેથી મોટર સાયકલ લઈને તેની સાસરી નંદગામ (ઉંદરા) કામ અર્થે જવા માટે નીકળ્યો હતો. આ દરમિયાન સવારના આશરે સાડા અગિયાર વાગ્યે વીણા પાટિયા નજીકથી પસાર થઇ રહ્યો હતો. ત્યારે નડિયાદ તરફ જઈ રહેલી ગાડીએ મોટર સાયકલને ટક્કર મારતા રવિન્દ્રના માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી. જેથી આજુબાજુના લોકો ખાનગી વાહનમાં રવિન્દ્ર જાલમભાઈ પરમારને સારવાર માટે તુરંત જ નડિયાદ સિવિલ હોસ્પિટલમાં લઇ જતા ફરજ પરના તબીબે રવિન્દ્ર પરમાર (ઉં.વ.૨૧ )ને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે તુષાર દીપસિંહ પરમારે નડિયાદ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગાડીના ચાલક સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.


