- જિલ્લામાં અકસ્માતનો સિલસિલો યથાવત્
- ઉત્તરસંડા ચોકડી પાસે પણ બાઈક અકસ્માતમાં બેને ઈજા : બંને અકસ્માત મુદ્દે પોલીસ ફરિયાદ
નડિયાદ : મહેમદાવાદનો યુવક સોમવારે સાંજે મોટરસાયકલ લઈને જઈ રહ્યો હતો. ત્યારે હનુમાનજી મંદિર નજીક અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા ગંભીર રીતે ઇજા પામેલ બાઈક ચાલકનું મોત નિપજ્યું હતું. જ્યારે ઉત્તરસંડા ચોકડી નજીક ટુ-વ્હીલર મોટરસાયકલ સાથે અથડાતા બે વ્યક્તિને ઈજા થઈ હતી. આ બનાવ અંગે જે-તે પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
મહેમદાવાદ મરડીયા પોરમાં રહેતા અજય પરસોત્તમભાઈ પંચાલ ખાત્રજ ચોકડી ફેબ્રિકેશનનો ધંધો કરે છે. તેમનો દીકરો ભૌમિક સોમવારે સાંજે ખાત્રજ ચોકડીથી મોટર સાયકલ લઈને મહેમદાવાદ તરફ જતો હતો. ત્યારે હનુમાનજી મંદિર અંબિકા નજીક ઓઇલ મિલ નજીક અજાણ્યો વાહનચાલક મોટરસાયકલને ટક્કર મારી પોતાનું વાહન લઇ નાસી ગયો હતો. આ અકસ્માતમાં બાઈક ચાલકને રોડ ઉપર પડી જતા માથામાં તેમજ શરીર પર ગંભીર ઈજા થઈ હતી. જેથી આજુબાજુના લોકોએ દોડી આવી ૧૦૮ મારફત ઇજાગ્રસ્ત બાઈક ચાલકને સારવાર માટે પ્રથમ ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાંથી સરકારી હોસ્પિટલમાં લઈ જતા ફરજ પરના ડોક્ટરે ભૌમિક પંચાલ (ઉં. વ.૩૨)ને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે અજય પરસોત્તમભાઈ પંચાલની ફરિયાદ આધારે મહેમદાવાદ પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
અકસ્માતના બીજા બનાવમાં અમદાવાદ જિલ્લાના સાણંદમાં રહેતા મહાવીરસિંહ દાદુભા ગોહિલ અને તેમના મિત્ર અશ્વિનભાઈ હરજીવનદાસ પરમાર ગત તા.૪ માર્ચ૨૦૨૬ના રોજ મોટરસાયકલ લઈ વડતાલ સ્વામિનારાયણ મંદિરના દર્શન કરવા ગયા હતા. વડતાલથી તેઓ મોટર સાયકલ લઇ ડાકોર જવા નીકળ્યા હતા. ત્યારે ઉત્તરસંડા ચોકડી નજીક નડિયાદ તરફથી આવેલ ટુ-વ્હીલર મોટરસાયકલ સાથે અથડાયું હતું. જેથી બાઇક ચાલક અશ્વિનભાઈ પરમાર તેમજ મહાવીરસિંહ ગોહિલને રોડ પર પડી જતા ઇજા થઇ હતી, જેથી આજુબાજુના લોકોએ દોડી આવી બંનેને ૧૦૮માં સારવાર માટે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે મહાવીર સિંહ દાદુભા ગોહિલની ફરિયાદ આધારે વડતાલ પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.


