- ગત જાન્યુઆરી માસમાં મિલકત વેરો વસુલવા માટે કાર્યવાહી હાથ ધરાઇ હતી
- મહાપાલિકાની ટીમે મિલકત વેરો વસુલવા કડક કામગીરી શરૂ કરતા બાકીદારોમાં ફફડાટ
મહાનગરપાલિકાના ઘરવેરા વિભાગ દ્વારા મિલકત વેરો વસુલવા માટે કાર્યવાહી યથાવત છે, જેના ભાગરૂપે ગત જાન્યુઆરી માસમાં રૂા. ૩.૭૧ કરોડનો મિલકત વેરો કરદાતાઓ ભર્યો હતો તેથી મહાપાલિકાની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. મહાપાલિકાને છેલ્લા ૧૦ માસમાં મિલકત વેરાની કુલ રૂા. ૧પપ કરોડની આવક થઈ છે અને કુલ ૧.૯૦ લાખ કરદાતાએ મિલકત વેરો ભર્યો છે. મહાપાલિકાને તા. ૧ એપ્રિલથી જાન્યુઆરી માસ સુધીમાં મિલકત વેરાની સારી આવક થઈ છે. એપ્રિલ અને મે માસમાં રિબેટ યોજનાના પગલે મહાપાલિકામાં ઘણા કરદાતાઓ મિલકત વેરો ભર્યો હતો પરંતુ ત્યારબાદ મહાપાલિકાની મિલકત વેરાની આવકમાં ઘટાડો જોવા મળ્યો હતો. રિબેટ યોજના પૂર્ણ થયા બાદ મહાપાલિકાએ મિલકત વેરો વસુલવા કાર્યવાહી હાથ ધરી છે અને મિલકત વેરો નહીં ભરતા બાકીદારોની મિલકતને સીલ મારવાની કામગીરી કરવામાં આવી રહી છે તેથી બાકીદારોમાં ગભરાટ ફેલાયો છે, જેના પગલે બાકીદારો મિલકત વેરો ભરી રહ્યા છે.
મહાપાલિકા દ્વારા હજુ બે માસ સુધી મિલકત વેરો વસુલવાની કામગીરી કરવામાં આવશે, જેના પગલે હજુ મિલકત વેરાની આવક વધશે તેથી મહાપાલિકાની તીજોરીમાં મિલકત વેરાની સારી આવક થશે તેમ જણાય રહ્યુ છે.
વેરો નહીં ભરતા 1800 થી વધુ મિલકત સીલ કરાઈ
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા મિલકત વેરો વસુલવાની કામગીરી શરૂ છે અને મિલકત વેરો નહીં ભરનારને મિલકતને સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી છેે, જેમાં અત્યાર સુધીમાં ૧૮૦૦ થી વધુ મિલકતને સીલ કરવામાં આવી છે અને હજુ આગામી દિવસોમાં વેરો નહીં ભરનારની મિલકત સીલ કરાશે તેમ મહાપાલિકાના ઘરવેરા વિભાગના અધિકારી વિરેન્દ્રસિંહ ગોહિલે જણાવેલ છે.


