PM Modi In Surat: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુરત પ્રવાસને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે ત્યારે સુરત મહાનગરપાલિકાના વહીવટી તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે. પીએમ મોદીના કાર્યક્રમ સ્થળ એવા અઠવાલાઇન્સ સ્થિત પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમના મુખ્ય પ્રવેશદ્વાર સામે જ અચાનક રસ્તો ધસી પડતાં એક ભુવો સર્જાયો હતો. VVIP રૂટ પર જ બનેલી આ ઘટનાને પગલે પાલિકાના અધિકારીઓના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. સદ્નસીબે આ ઘટના વડાપ્રધાનના આગમનના એક દિવસ પહેલાં બની હોવાથી તંત્ર ભારે શરમજનક સ્થિતિમાંથી બચી ગયું હતું અને સ્થિતિ સંભાળવાનો પૂરતો સમય મળી ગયો હતો.
એક દિવસ વહેલો ભુવો પડતાં અધિકારીઓ પરથી સંકટ ટળ્યું!
જો વડાપ્રધાનના આગમનના દિવસે અથવા તો તેમના કાફલા પસાર થવાના સમયે જ આ રસ્તો ધસી પડ્યો હોત, તો સુરક્ષા વ્યવસ્થા, ટ્રાફિક નિયંત્રણ અને તંત્રની બેદરકારી સામે ગંભીર સવાલો ઊભા થયા હોત. વડાપ્રધાનની સુરક્ષા વચ્ચે સર્જાતી આવી પરિસ્થિતિ અનેક ઉચ્ચ અધિકારીઓની કારકિર્દી પર ભારે પડી શકી હોત. જોકે, ઘટના એક દિવસ વહેલી બનતાં અધિકારીઓ પરથી તાત્કાલિક કાર્યવાહીનું સંકટ ટળી ગયું હતું.
મશીનરી અને મજૂરો સાથે તંત્ર કામે લાગ્યું
વીવીઆઈપી કાર્યક્રમ સ્થળની બિલકુલ સામે જ રસ્તો બેસી જતાં પાલિકાના રોડ, હાઇડ્રોલિક અને અન્ય સંબંધિત વિભાગોના ઉચ્ચ અધિકારીઓનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. શિડ્યુલ ખોરવાય નહીં તે માટે પાલિકાએ તાબડતોબ સંખ્યાબંધ કર્મચારીઓ, મજૂરો અને ભારે મશીનરીને કામે લગાડી દીધી હતી અને મોડી રાત સુધી યુદ્ધના ધોરણે ભુવો પુરવાની તેમજ રસ્તાને પૂર્વવત્ કરવાની કામગીરી હાથ ધરી હતી.
આ પણ વાંચો: BIG NEWS: ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં પણ 'નો રિપીટ થિયરી', ભાજપના 4 ઉમેદવાર જાહેર
પાલિકાની 'પ્રિ-મોન્સૂન' કામગીરીના દાવાઓ સામે સવાલ?
આ ઘટનાએ સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતા પ્રિ-મોન્સૂન કામગીરીના મસમોટા દાવાઓની પોલ ખોલી નાખી છે. શહેરમાં ચોમાસા પૂર્વે કરોડો રૂપિયાના ખર્ચે રસ્તા અને ડ્રેનેજ લાઇનના સમારકામની વાતો કરવામાં આવે છે. આશ્ચર્યની વાત એ છે કે હજુ સુધી શહેરમાં સત્તાવાર ચોમાસાની શરૂઆત પણ થઈ નથી કે કોઈ નોંધપાત્ર વરસાદ પણ પડ્યો નથી, તેમ છતાં શહેરના સૌથી વીઆઈપી અને સતત દેખરેખ હેઠળ રહેતા અઠવાલાઇન્સ જેવા પોશ વિસ્તારના મુખ્ય માર્ગ પર ભુવો પડવો તે તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા કરે છે.


