Get The App

બરોડા ક્રિકેટ એસોસિએશન ચૂંટણી, દિગ્ગજોની હાજરી, ક્રિકેટરોનું મતદાન

Updated: Feb 15th, 2026

GS TEAM

Google News
Google News
બરોડા ક્રિકેટ એસોસિએશન ચૂંટણી, દિગ્ગજોની હાજરી, ક્રિકેટરોનું મતદાન 1 - image

વડોદરા શહેરના શાસ્ત્રી બ્રિજ પાસે આવેલા રામબાગ મેદાન ખાતે બરોડા ક્રિકેટ એસોસિએશનની વર્ષ 2026-29 માટેની ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ રહ્યું છે. રિવાઇવલ અને રોયલ સત્યમેવ જયતે જૂથ વચ્ચે સીધી ટક્કર જામતાં ક્રિકેટપ્રેમીઓમાં ખાસ્સો ઉત્સાહ જોવા મળ્યો હતો. સભ્યો મોટી સંખ્યામાં મતદાન માટે પહોંચ્યા હતા.

બપોરે અઢી વાગ્યા સુધીમાં 1257થી વધુ મત નોંધાયા હતા,  કુલ 2063 સભ્યો ધરાવતી સંસ્થામાં આટલી મોટી ટકાવારી નોંધાવવી એ સંસ્થાની સક્રિયતા દર્શાવે છે.

ચૂંટણીમાં પૂર્વ ક્રિકેટરો જેમ કે કિરણ મોરે, અતુલ બેદાડે, નયન મોંગીયા, કોનર વિલિયમ્સ, વિક્રમ હજારે અને ખગેશ અમીન સહિતના ખેલાડીઓએ મતદાન કરી લોકશાહી પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.

સાથે જ સંસ્થાના દિગ્ગજ સભ્યો ચિરાયુ અમીન, મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ અને મહારાણી શુભાંગીની દેવી ગાયકવાડએ પણ મતદાન કર્યું હતું.

મહારાણી શુભાંગીની દેવી ગાયકવાડે જણાવ્યું હતું કે, “વડોદરાના લોકોએ યાદ રાખવું જોઈએ કે છેલ્લા 50 વર્ષમાં ક્રિકેટના હિત માટે કોણે કામ કર્યું અને સ્તરને ઊંચાઈ કોણે અપાવી.”

મહારાજા સમરજીતસિંહ ગાયકવાડે જણાવ્યું હતું કે, “બે વાગ્યા સુધીમાં 1200 મત નોંધાવા એ સંસ્થાની સક્રિયતા દર્શાવે છે. શિવરાત્રીના પાવન અવસરે આશીર્વાદ લઈ મોટી ઈનિંગ સાથે આગળ વધવું જોઈએ. 

રોયલ સત્યમેવ જયતે જૂથના પ્રમુખ પદના ઉમેદવાર ડૉ. દર્શન બેન્કરે કહ્યું હતું કે, “મોટી સંખ્યામાં મતદાન થવું એ ઓલ ઓવર ક્રિકેટની જીત છે. ટીમ અને સમર્થકોનો આભારી છું.”

બરોડા ક્રિકેટ એસોસિએશન ચૂંટણી, દિગ્ગજોની હાજરી, ક્રિકેટરોનું મતદાન 2 - image

રિવાઇવલ જૂથના પ્રમુખ પદના ઉમેદવાર કિરણ મોરેએ જણાવ્યું હતું કે, “સભ્યોનો વિશ્વાસ જીતવો સૌથી મહત્વનો મુદ્દો છે. રિવાઇવલ જૂથ દ્વારા કરાયેલા કામો સભ્યો જાણે છે.”

પ્રણવ અમીને પણ પોઝિટિવિટી સાથે ચૂંટણી લડાતી હોવાનું જણાવી દાવો કર્યો હતો કે મતદારોનો ઝુકાવ તેમની તરફ છે.

આ ચૂંટણીમાં કુલ 63 ઉમેદવારો મેદાનમાં છે. જેમાંથી 62 ઉમેદવારો 31 પદો માટે સ્પર્ધા કરી રહ્યા છે — 31 ઉમેદવાર રિવાઇવલ અને 31 ઉમેદવાર રોયલ જૂથના છે. જ્યારે પ્રેસ એન્ડ પબ્લિસિટી કમિટી માટે એક અપક્ષ ઉમેદવાર છે.

ચૂંટણી અધિકારી આઈ.આઈ. પંડ્યાએ જણાવ્યું હતું કે મતદાન શાંતિપૂર્ણ ચાલી રહ્યું છે. સાંજે છ વાગ્યા બાદ મતપેટીઓને સીલ કરી ફતેગંજ સ્થિત હિલ મેમોરિયલ શાળાના સ્ટ્રોંગ રૂમમાં સુરક્ષિત રાખવામાં આવશે. નોંધનીય છે કે આ જ સ્ટ્રોંગ રૂમમાં ઇવીએમ મશીનો પણ સુરક્ષિત રાખવામાં આવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આજે મતગણતરીનું પરિણામ જાહેર કરાશે નહીં. સભ્ય રમેશચંદ્ર દ્વારા કેટલાક ઉમેદવારોને અયોગ્ય ઠેરવવા હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. હાઇકોર્ટના આદેશ બાદ જ મતગણતરી હાથ ધરાશે.

રમેશચંદ્ર મતદાન માટે હાજર રહ્યા હતા, પરંતુ મીડિયા સમક્ષ કોઈ નિવેદન આપવાનું ટાળ્યું હતું.