Get The App

અમદાવાદ: બારેજામાં પ્રેમ પ્રકરણ અને હારના વિવાદે લીધો પરિણીતાનો જીવ, પ્રેમી-પતિ અને સાસુ સહિત 4ની ધરપકડ

Updated: Apr 2nd, 2026

GS TEAM

Google News
Google News
અમદાવાદ: બારેજામાં પ્રેમ પ્રકરણ અને હારના વિવાદે લીધો પરિણીતાનો જીવ, પ્રેમી-પતિ અને સાસુ સહિત 4ની ધરપકડ 1 - image

Bareja Woman Self-destruction Case In Ahmedabad : અમદાવાદના બારેજા ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક પરિણીતાએ પ્રેમ પ્રકરણ અને પોતાની સગી બહેને પહેરવા માટે આપેલા સોનાના હારના વિવાદમાં ફસાઈને ઘઉંમાં નાખવાની ઝેરી દવા ગટગટાવીને પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. સાસરીયાઓનો ત્રાસ અને પ્રેમીએ આપેલા દગાના કારણે પરિણીતાએ આ પ્રકારનું પગલું ભર્યું હોવાનું જણાય છે. સમગ્ર મામમલે પોલીસે ગુનો નોંધીને એક મહિલા સહિત 4ની ધરપકડ કરી છે.

બારેજામાં પ્રેમ પ્રકરણ અને સોનાના હારના વિવાદમાં પરિણીતાનો આપઘાત

સમગ્ર મામલે મૃતક મહિલાના બાવળાના 30 વર્ષીય ભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીની નાની બહેનના લગ્ન વર્ષ 2017માં બારેજા ખાતે રહેતા અમિત રમેશભાઈ બેલદાર સાથે થયા હતા. ગત 8મી માર્ચ, 2026ના રોજ ફરિયાદીને તેના બનેવી અમિતનો ફોન આવ્યો હતો. જેમાં અમિતે જાણવા મળ્યું હતું કે, 'તમારી બહેને ઘરમાં પડેલી ઝેરી દવા પી લીધી છે. તેને બારેજાની ખાનગી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન જ તેનું મૃત્યુ નીપજ્યું હતું.'

એક મહિલા સહિત 4ની ધરપકડ

મળતી માહિતી મુજબ, એક પ્રસંગ દરમિયાન મૃતક મહિલાને તેની મોટી બહેને પહેરવા માટે સોનાનો હાર આપ્યો હતો. પરંતુ બારેજામાં રહેતા સમીર ઉર્ફે ગુડ્ડુ કાદરખાન નામના શખસ સાથે પ્રેમ સંબંધ હોવાથી મૃતકે મહિલાએ આ સોનાનો હાર સમીરને આપી દીધો હતો. જો કે, આ પછી સમીરે પોતાના ભાઈ મુસ્તુફા મારફતે આ હાર બારેજામાં આવેલી એક જ્વેલર્સની દુકાનમાં ગીરવે મૂકી દીધો હતો. આ દરમિયાન મૃતકે મહિલાએ વારંવાર હાર પરત માંગવા છતાં પ્રેમી સમીરે સોનાનો હાર પાછો આપ્યો ન હતો. 

બીજી તરફ, મોટી બહેન સોનાના હારની માંગણી કરી રહી હતી. જેમાં સોનાનો હાર પરત ન આવતા મૃતકના પતિ અમિત અને સાસુ મંજુલાબેન ઉર્ફે ટીનીબેને મૃતક પર હાર પરત લાવી મોટી બહેનને આપી દેવા દબાણ કરીને શારીરિક અને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. એટલું જ નહીં, ઘટનાના દિવસે ઘરની બહાર અમિતે પત્ની સાથે મારઝૂડ કરી હોવાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. 

આ પણ વાંચો: અમદાવાદ: પ્રોપર્ટીમાં રોકાણના નામે નારણપુરાના વૃદ્ધ સાથે લાખોની ઠગાઈ, 6% વળતરની લાલચ આપી આરોપી ફરાર

આમ, એક તરફ પ્રેમી દ્વારા વિશ્વાસઘાત અને બીજી તરફ પતિ-સાસુનો ત્રાસ તેમજ આબરૂ જવાની બીકથી કંટાળીને મૃતકે ઝેરી દવા પી લીધી હતી. સમગ્ર કેસ મામલે પોલીસે મૃતકના પતિ અમિત, સાસુ મંજુલાબેન ઉર્ફે ટીનીબેન અને પ્રેમી સમીર ઉર્ફે ગુડ્ડુ એમ કુલ 4 લોકોની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.