Get The App

ખૂન કા બદલા ખૂન! દિયોદરના કુવાણા ગામ નજીક રોડ પર યુવકની કાવતરું રચીને હત્યા, 5 આરોપીઓની ધરપકડ

Updated: Jun 13th, 2026

GS TEAM

Google News
Google News
ખૂન કા બદલા ખૂન! દિયોદરના કુવાણા ગામ નજીક રોડ પર યુવકની કાવતરું રચીને હત્યા, 5 આરોપીઓની ધરપકડ 1 - image

Banaskantha News: બનાસકાંઠાના દિયોદર તાલુકાના કુવાણા ગામે સનસનાટીભર્યા હત્યાના કેસમાં પોલીસે આજે કુલ 5 આરોપીની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે 12 જૂન 2026ના રોજ કુવાણા પાન પાર્લર નજીક રાજસ્થાનના ભલીસર ગામના વતની શામળાભાઇ ફોટાભાઇ ભીલ પર અજાણ્યા શખ્સોએ ઘાતક હથિયારો સાથે તૂટી પડ્યા હતા. હુમલાખોરો સફેદ કલરની સ્કોર્પીયો અને સીલ્વર કલરની ઇનોવા ગાડી લઇને આવ્યા હતા. તેમના હાથમાં પિસ્તોલ તથા ધારિયા જેવા જીવલેણ હથિયારો હતા. આરોપીઓએ જૂની અદાવત રાખીને શામળાભાઇ પર પિસ્તોલથી અંધાધૂંધ ફાયરીંગ કર્યું હતું અને ત્યારબાદ ધારિયા વડે ગળા તેમજ શરીરના અન્ય ભાગે ઉપરાછાપરી ઘા મારીને કરપીણ હત્યા નીપજાવી હતી.

ફરિયાદી અને સાહેદને પણ ધમકીઓ આપવામાં આવી

આટલું જ નહીં, આરોપીઓએ હથિયારો બતાવીને ફરિયાદી અને સાહેદને પણ જાનથી મારી નાખવાના ઇરાદે તેમનો પીછો કર્યો હતો. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી અને દિયોદર પોલીસ સ્ટેશનમાં BNS તથા આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

ખૂન કા બદલા ખૂન! દિયોદરના કુવાણા ગામ નજીક રોડ પર યુવકની કાવતરું રચીને હત્યા, 5 આરોપીઓની ધરપકડ 2 - image

ગુનામાં વપરાયેલી ઈનોવા અને સ્કોર્પીયો ઓળખ થઈ અને..

આ ગંભીર અને હાઈપ્રોફાઈલ ગુનાનો ભેદ ઉકેલવા અને આરોપીઓને ઝડપી પાડવા માટે LCB, SOG, પેરોલ ફર્લો અને સ્થાનિક પોલીસ મથકોની મળીને 10થી વધુ ટીમો મેદાને ઉતારવામાં આવી હતી. પોલીસે ત્રિનેત્ર ગાંધીનગર, જિલ્લાના નેત્રમ પ્રોજેક્ટ અને ઘટનાસ્થળની આજુબાજુના 100થી વધુ સ્થળોના સીસીટીવી કેમેરા ચેક કરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. CCTV ફૂટેજની તપાસ કરતા ગુનામાં વપરાયેલી ઇનોવા ગાડી (નંબર: GJ18AB5141) અને સ્કોર્પીયો ગાડીની ઓળખ થઈ હતી. હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી પોલીસે આખરે તમામ 6 શંકાસ્પદ આરોપીઓને બુકણા ગામેથી રાઉન્ડ-અપ કર્યા છે.

ખૂન કા બદલા ખૂન! દિયોદરના કુવાણા ગામ નજીક રોડ પર યુવકની કાવતરું રચીને હત્યા, 5 આરોપીઓની ધરપકડ 3 - image

કેવી રીતે હત્યાની આપ્યો અંજામ?

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આ હત્યા પાછળનો જે ખુલાસો થયો તે ચોંકાવનારો હતો. ગત 12 ઓગસ્ટ 2025ના રોજ બુકણા ગામના અભાભાઈ સુજાજી ગોહીલની હત્યા થઈ હતી, જેમાં આ કેસનો મૃતક શામળભાઇ ભીલ મુખ્ય આરોપી હતો. તે ખૂનનો બદલો લેવાના ઇરાદે જ આ આખું પ્લાનિંગ કરવામાં આવ્યું હતું. આરોપીઓએ અગાઉથી જ શામળાભાઇની થરાદ કોર્ટમાં મુદત દરમિયાન રેકી કરી હતી અને તે કોર્ટમાંથી બહાર નીકળતા જ ગાડીઓ લઈને તેમની પાછળ પડ્યા હતા. કુવાણા ગામે રોડ ઉપર જ્યારે શામળાભાઇએ પોતાનું બાઇક ઊભું રાખ્યું, ત્યારે જ તક જોઈને સ્કોર્પીયોમાંથી હથિયારધારી આરોપીઓ નીચે ઉતર્યા હતા અને ફાયરીંગ કરી તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી દીધા હતા. પકડાઈ ન જવાય તે માટે આરોપીઓ શાતિરતા વાપરીને પોતાના મોબાઈલ ફોન પણ ઘરે મૂકીને આવ્યા હતા અને હત્યા કર્યા બાદ અલગ-અલગ રૂટ પર ફરાર થઈ ગયા હતા.

આ પણ વાંચો: સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના 11 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, રાજ્યમાં ભીષણ ગરમી વચ્ચે પ્રિ-મોન્સૂન એક્ટિવિટી

જો કે, આરોપીઓની ચાલાકી નાકામ રહી હતી. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા વાહનો સાથે બુકણા ગામેથી મુખ્ય 5 આરોપીઓ કિરણભાઈ સુજાભાઈ ગોહિત (ગુનાહિત ઇતિહાસ ધરાવતો આરોપી), શીવાજી પબાજી ગોહિલ, મહેશભાઈ રામસીભાઈ ગોહિલ, સુજાજી પબાજી ગોહિલ અને ભરતભાઈ જોગાભાઈ ગોહિલને ઝડપી લીધા છે. આ ઉપરાંત, તપાસમાં સામેલ નાળોદર ગામના ડ્રાઇવર રૂડાભાઇ રાણાભાઇની જે ગુનાના સમયે ગાડી ચલાવી રહ્યો હતો તેની પણ ધરપકડ કરવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.