Get The App

રણોલીના મોબાઇલફોન લૂંટ કેસમાં બે આરોપીના જામીન નામંજૂર

Updated: Apr 4th, 2026

GS TEAM

Google News
Google News
રણોલીના મોબાઇલફોન લૂંટ કેસમાં બે આરોપીના જામીન નામંજૂર 1 - image

Vadodara Court : વડોદરાના રણોલી વિસ્તારમાં બનેલા મોબાઇલ લૂંટ કેસમાં સેશન્સ કોર્ટે બે આરોપીઓની રેગ્યુલર જામીન અરજી નામંજૂર કરી છે.

તા.22 માર્ચના રોજ કરચિયા–રણોલી રોડ પર ફરિયાદી તથા તેમના મિત્રો ઊભા હતા ત્યારે અચાનક મોપેડ પર સવાર બે અજાણ્યા ઈસમો ધસી આવ્યા હતા. આરોપીઓ સેલ્ફી લેતા ફરિયાદીના હાથમાંથી મોબાઇલ ફોન ઝૂંટવી ફરાર થઈ ગયા હતા. જે અંગે જવાહર નગર પોલીસ મથકે ગુનો નોંધાયો હતો.

 પોલીસ તપાસ દરમિયાન આરોપીઓ મોબાઇલ વેચવાની ફિરાકમાં હતા ત્યારે જ ઝડપી પાડવામાં આવ્યા હતા. આરોપીઓમાં બોબીસિંગ કિરપાલસિંગ સરદાર (સિક્લીગર) (રહે. ઈશ્વરભાઈની ચાલી, રણોલી) અને મિતેશ ઉર્ફે કાલુ જગદીશભાઈ પરમાર (રહે. હરીદર્શન એપાર્ટમેન્ટ, રણોલી) નો સમાવેશ થાય છે.

 તપાસ દરમિયાન સામે આવ્યું કે બોબીસિંગ સિક્લીગર ગેંગ સાથે સંકળાયેલ છે અને આવા ગુનાઓમાં સક્રિય છે.

 સરકારી વકીલે કોર્ટમાં રજૂઆત કરી હતી કે આરોપીઓએ ચાકુ બતાવી મોબાઇલ ઝૂંટવી ગંભીર પ્રકારનો ગુનો કર્યો છે. ઓળખ પરેડમાં બંને આરોપીઓની ઓળખ થઈ ચૂકી છે. ઉપરાંત બોબી સામે અગાઉ 12 અને મિતેશ સામે 4 ગુનાઓ નોંધાયેલા હોવાથી તેઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.

 કોર્ટે નોંધ્યું હતું કે, આરોપીઓનો ગુનામાં સક્રિય રોલ પ્રથમ દર્શનીય રીતે સામે આવે છે, તેઓ રીઢા ગુનેગાર છે અને ગુના કરવાની ટેવ ધરાવે છે, જામીન પર મુક્ત કરાય તો લોકોની માલમિલકતને નુકસાન પહોંચાડવાની શક્યતા છે તેમજ પુરાવા સાથે ચેડા થવાની સંભાવના નકારી શકાય તેમ નથી આ તમામ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને સેશન્સ કોર્ટે બંને આરોપીઓની જામીન અરજી નામંજૂર કરી છે.