વડોદરા : તુ મારી સામે કેમ જુવે છે તેમ જણાવી ઝઘડો કર્યા બાદ ગુપ્તીના ઘા મારી યુવકની હત્યા કરવાના બનાવમાં સંડોવાયેલા આરોપીએ જામીન અરજી મૂકતા ન્યાયાધીશે અરજદારની અરજી નામંજૂર કરી હતી.
કેસની વિગત એવી છે કે, પ્રતાપનગર વિસ્તારમાં આવેલી વિજયવાડી રેલ્વે
કોલોની પાછળ તા. ૧૦ ફેબુ્રઆરી ૨૦૨૪ના રોજ રાત્રિના સમયે લોહીયાળ જંગ ખેલાયો હતો.
પ્રકાશભાઇ શિર્કે પોતાની બાઇક લઇને ઘરે આવ્યા ત્યારે ત્યાં બેસેલા રવિન્દ્રકુમાર
ઉર્ફે નન્નુ અને તેના સાથીદારો સામે જોતા તકરાર થઈ હતી. આરોપી રવિન્દ્રકુમારે તું
મારી સામે કેમ જોવે છે? તેમ કહી ઝઘડો કર્યો હતો અને ઉશ્કેરાઇ
જઇ તેણે ગુપ્તી જેવા હથિયારથી પ્રકાશભાઇ પર હુમલો કરતા તેમનું મોત થયું હતું.
આ ગુનામાં હાલ જેલમાં રહેલા આરોપી રવિન્દ્રકુમાર ઉર્ફે નન્નુ
મહેશભાઇ વસાવાએ જામીન અરજી મૂકતા તેની સુનાવણીમાં સરકારી વકીલે દલીલ કરી હતી કે, જો
આરોપીને જામીન આપવામાં આવે તો તે સ્થાનિક વિસ્તારનો હોવાથી સાક્ષીઓને ધાક-ધમકી આપી
ફોડી શકે છે. ન્યાયાધીશે બન્ને પક્ષની
દલીલ સાંભળ્યા બાદ અરજદારની અરજી નામંજૂર કરી હતી.


