વડોદરા,ત્રણ દિવસ પહેલા પોલીસે કરેલી જુગારની રેડની બાતમી આપી હોવાની વાત ફેલાવવાના મુદ્દે ગઇકાલે માંજલપુર જ્યુપિટર ચોકડી પાસે મારામારી થઇ હતી. માંજલપુર પોલીસે બંને પક્ષની સામસામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
માંજલપુર જ્યુપિટર ચોકડી પાસે મારૃતિધામ સોસાયટીમાં રહેતા શ્રમજીવી નિપુલ સુરેશભાઇ પટેલે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગઇકાલે સાંજે હું મારા મિત્ર કેતનભાઇ સોની સાથે મારૃતિધામ નજીક ઊભો હતો. તે દરમિયાન ઉમેશ પાટિલ તથા તેના પિતા કમલેશ લક્ષ્મણભાઇ પાટિલ( બંને રહે. પાર્થભૂમિ, મારૃતિધામ પાસે માંજલપુર) આવયા હતા. કમલેશ પાટિલે મને કહ્યંું કે, તું કેમ ખોટી અફવા ફેલાવે છે કે, જુગાર માટે મેં પોલીસને બાતમી આપી છે. તે ગાળો બોલતો હોઇ મેં તેને ગાળો બોલવાની ના પાડતા તે વધુ ઉશ્કેરાઇને મને માર મારવા લાગ્યો હતો. પિતા, પુત્રે મને બેલ્ટ અને પથ્થર વડે માર માર્યો હતો. તેમજ જાનથી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
જ્યારે સામા પક્ષે કમલેશ પાટિલે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, નિપુલ પટેલ લોકોેને એવું કહેતો હતો કે, જુગારની બાતમી અમે આપી છે. આ અંગે મેં નિપુલને કહેતા તે ઉશ્કેરાઇ ગયો હતો. તેણે તલવારથી હુમલો કર્યો હતો.


