Get The App

ગાંધીજીના અસ્થિને વિસર્જન માટે થર્ડ ક્લાસમાં પ્રયાગરાજ લઈ જવાયા હતા

Updated: Jan 29th, 2026

GS TEAM

Google News
Google News
ગાંધીજીના અસ્થિને વિસર્જન માટે થર્ડ ક્લાસમાં પ્રયાગરાજ લઈ જવાયા હતા 1 - image

વડોદરાઃ ૩૦ જાન્યુઆરી, ૧૯૪૮ના ગોઝારા દિવસે નાથુરામ ગોડસેએ મહાત્મા ગાંધીજીની ગોળી મારીને હત્યા કરી હતી.સમગ્ર દેશ અને દુનિયા  ગાંધીજીની હત્યાથી હચમચી ઉઠી હતી. એ પછી દર વર્ષે ૩૦ જાન્યુઆરીને શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

મહાત્મા ગાંધીજીની વિચારધારાના ચાહક વડોદરાના અતુલભાઈ શાહ પાસે ગાંધીજીના ૪૦૦ પુસ્તકોની સાથે સાથે ગાંધીજી પર લખાયેલા અખબારના લેખોના કટિંગનું પણ અનોખુ કલેક્શન છે.આ ૭૫ લેખો તેમણે એક-એક ફ્રેમમાં મઢાવ્યા છે.જેમાં ગાંધીજીના હત્યા બાદના અહેવાલોનો પણ સમાવેશ થાય છે.દેશના અંગ્રેજી, હિન્દી, ગુજરાતી એમ તમામ અખબારોમાં ગાંધીજીની હત્યા અને એ પછીની ઘટનાઓને વ્યાપક કવરેજ મળ્યું હતું.

સામાન્ય માણસની પીડા અને વેદનાને વાચા આપવા માટે ગાંધીજીએ આખી જિંદગી ટ્રેનના થર્ડ ક્લાસમાં જ મુસાફરી કરી હતી.ગાંધીજીની હત્યા થઈ તે પછી તેમના અસ્થિનું  અલ્હાબાદ એટલે કે પ્રયાગરાજ ખાતે વિસર્જન કરવામાં આવ્યું હતું.આ અસ્થિને પણ ટ્રેનના થર્ડ ક્લાસમાં જ લઈ જવાયા હતા.પાંચ ડબ્બાની ટ્રેનના તમામ ડબ્બા થર્ડ ક્લાસ હતા અને આ પૈકીના એક ડબ્બાને અસ્થિ મૂકવા માટે શણગારવામાં આવ્યો હતો.

પાંચ માઈલ લાંબી અંતિમયાત્રા

ગાંધીજીની અંતિમ યાત્રાના અખબારી અહેવાલો કહે છે કે, દિલ્હીમાં બિરલા ભવનથી જમના ઘાટ સુધીની ગાંધીજીની અંતિમ યાત્રા પાંચ માઈલ લાંબી હતી.જેમાં ૧૨ લાખ કરતા વધારે લોકો જોડાયા હતા. લોકોએ એ પહેલા કલાકો સુધી કતારમાં ઉભા રહીને ગાંધીજીના દર્શન કરવા માટે રાહ જોઈ હતી.

વતન પોરબંદરમાં અસ્થિ  યાત્રા 

ગાંધીજીના અસ્થિને તેમના વતન પોરબંદર ખાતે લઈ જવાયા હતા.જ્યાં તેમને સશસ્ત્ર દળોએ સલામી આપી હતી.એ પછી પોરબંદરમાં લોકો દર્શન કરી શકે તે માટે તેમના અસ્થિની એક યાત્રા કાઢવામાં આવી હતી.

લંડનમાં પણ શોકસભા

ગાંધીજીએ બ્રિટન સામે આઝાદીની લડત શરુ કરી હતી.તેની રાજધાની લંડનમાં પણ ગાંધીજીની શોકસભાનું ઈન્ડિયન હાઈ કમિશનર દ્વારા આયોજન કરાયું હતું.ગાંધીજીને યુએનની શાંતિ સમિતિમાં પણ શ્રધ્ધાંજલિ અપાઈ હતી.

ગોડસેની ગોળીના નિશાન દેખાતા હતા

ગાંધીજીના નશ્વર દેહને જ્યારે લોકોના દર્શન માટે મૂકવામાં આવ્યો ત્યારે તેના પર નાથુરામ ગોડેસે ગાંધીજીને મારેલી બે ગોળીના ઘા લોકોને સ્પષ્ટપણે દેખાતા હતા.

ગાંધીજીના હસ્તાક્ષરોમાં લખાયેલું પુસ્તક

અતુલભાઈ શાહ પાસે ગાંધીજીના હાથથી લખાયેલું હિંદ સ્વરાજ્ય નામનું પુસ્તક પણ છે.ગાંધીજીએ ૧૯૦૮માં  લંડનથી દક્ષિણ આફ્રિકાની મુસાફરી દરમિયાન તેમના હસ્તાક્ષરમાં કાગળો પર આ પુસ્તક લખ્યું હતું.એ જ સ્વરુપમાં તેને પ્રકાશિત કરવામાં આવ્યું હતું.ગાંધીજીએ કેટલાક પાના પર જમણા અને કેટલાક પાના પર ડાબા હાથથી લખ્યું હતું.

અખબારના કટિંગનો સંગ્રહ શુક્રવારી બજારમાંથી મળ્યો 

અતુલભાઈ કહે છે કે, હું શહેરમાં ભરાતા શુક્રવારી બજારમાં આંટો મારવા ગયો હતો ત્યારે ગાંધીજી પરના અખબારોના અહેવાલનો સંગ્રહ મને એક ફેરિયા પાસે જોવા મળ્યો હતો.કોઈએ બહુ કાળજીપૂર્વક આઝાદી પહેલાના અને એ પછીના અખબારોના કટિંગ સાચવ્યા હતા અને કોઈ કારણસર તે શુક્રવારી બજારમાં પહોંચી ગયા હતા.માત્ર ૧૦૦ રુપિયામાં મને આ સંગ્રહ મળી ગયો હતો.