પરાજીત ઉમેદવારોએ વિરોધ કરવાનું જારી રાખ્યું : મેયરે શુભેચ્છા આપવા આવ્યાનું માન્યું, : નેતાએ કહ્યું-સાંઢિયા પૂલ ખુલ્લો કરવા માંગણી કરી છે
રાજકોટ, : આજે રાજકોટ મહાપાલિકાની મેયરની ચેમ્બરમાં મેયર તરીકે નેહલ શુક્લએ પદ ગ્રહણ કર્યું અને ખુરશી પર બેઠા ત્યાં જ કોંગ્રેસના પરાજીત ઉમેદવાર રણજીત મુંધવા ત્યાં આવ્યા હતા અને મેયરને મેલોડી ચોકલેટ આપીને કટાક્ષમય વિરોધ કર્યો હતો.
મેયરને પ્રથમ તો એમ લાગ્યું કે શુભેચ્છા આપવા આવ્યા છે, આજે કોંગ્રેસના નેતાઓ પણ ફૂલહાર લઈને આવ્યા હતા. પરંતુ, ચોકલેટ આપ્યા બાદ રણજીત મુંધવાએ કહ્યું કે જામનગર રોડ પર સાંઢિયા પૂલનું કામ પૂરૂં થવા છતાં તે ખુલ્લો મુકાયો નથી તે કારણે રોજ લોકોએ દોઢ કિ.મી.વધુ અંતર કાપવું પડે છે, ઈંધણનો બગાડ થાય છે, તે તાત્કાલિક ખુલ્લો મુકવા માંગણી કરી હતી. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના 72 ઉમેદવારો પૈકી 10-12 ઉમેદવારો જેઓ ચૂંટણીમાં જીત્યા નથી પરંતુ, તેઓએ વિરોધ પ્રદર્શનો જારી રાખ્યા છે. પરાજીત ઉમેદવારોની તે લોકશાહી ફરજ પણ છે.


