Get The App

સાયલામાં 'અરજી મેળો' યોજાયો : 11 અરજદારોએ રજૂઆત કરી

Updated: Apr 5th, 2026

GS TEAM

Google News
Google News
સાયલામાં 'અરજી મેળો' યોજાયો : 11 અરજદારોએ રજૂઆત કરી 1 - image

- લોક પ્રશ્નોના નિકાલ માટે પોલીસનો અભિગમ

- વ્યાજખોરી, લેન્ડગ્રેબિંગ અને ગૌચર દબાણ જેવા પ્રશ્નો ઉઠયા : પોલીસ તંત્ર દ્વારા ત્વરિત કાર્યવાહીની ખાતરી

સાયલા : લીંબડી ડિવિઝનના ડીવાયએસપી વિશાલ રબારી દ્વારા સાયલા અને ધજાળા પોલીસ મથકના સંયુક્ત ઉપક્રમે અરજી મેળો યોજવામાં આવ્યો હતો. જેમાં નાગરિકોના પડતર પ્રશ્નો સાંભળી તેના નિકાલ માટે સૂચનાઓ અપાઈ હતી.

સાયલા પોલીસ સ્ટેશન ખાતે લીંબડી ડિવિઝનના ડીવાયએસપી વિશાલ રબારીની ઉપસ્થિતિમાં અરજી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળામાં સાયલા અને ધજાળા પોલીસ મથક હેઠળ આવતા વિસ્તારોના કુલ ૧૧ અરજદારોએ પોતાના વિવિધ પ્રશ્નો રજૂ કર્યા હતા. રજૂઆતોમાં મુખ્યત્વે ગૌચરની જમીન પરના દબાણો હટાવવા, નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા, વ્યાજખોરી, લેન્ડગ્રેબિંગ અને ખંડણી જેવા વિષયોનો સમાવેશ થતો હતો.

ડીવાયએસપીએ તમામ અરજદારોની રજૂઆતો સાંભળી જે તે વિભાગને તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવા આદેશ આપ્યા હતા. ખાસ કરીને વ્યાજખોરીના દૂષણ અંગે તેમણે જણાવ્યું હતું કે, જો કોઈ નાગરિક વ્યાજખોરોની હેરાનગતિનો ભોગ બન્યું હોય, તો તે અત્યંત પગલું ભરતા પહેલા સ્થાનિક પોલીસનો સંપર્ક કરે. આવા કિસ્સાઓમાં પોલીસ ત્વરિત ફરિયાદ નોંધી કડક હાથે કામ લેશે તેવી હૈયાધારણ તેમણે આપી હતી. આ મેળાનો મુખ્ય હેતુ લોકોની સમસ્યાઓનું પોલીસ મથક સ્તરે જ સુખદ નિરાકરણ લાવવાનો હતો.