Get The App

ચોટીલા નજીક વધુ એક ખાનગી બસમાં ભીષણ આગ, 28 મુસાફરોનો બચાવ

Updated: May 18th, 2026

GS TEAM

Google News
Google News
ચોટીલા નજીક વધુ એક ખાનગી બસમાં ભીષણ આગ, 28 મુસાફરોનો બચાવ 1 - image

સોમનાથથી અમદાવાદ જતી બસમાં આગ ફાટી નીકળતાં દોડધામ બસ ચાલકે સતર્કતા દાખવીને હોટલની સાઇડમાં સળગતી બસને ઊભી રાખી દીધી; કાચ તોડી તમામ મુસાફરોને બહાર કાઢવા પડયા

ચોટીલા, : ચોટીલા નજીક આવેલા સાંગાણી નેશનલ હાઇવે પર ફરી એકવાર કાળમુખી આગનો બનાવ જોવા મળ્યો છે. સોમનાથથી અમદાવાદ તરફ જઈ રહેલી સુદામા ટ્રાવેલ્સની લક્ઝરી એસી સ્લીપર કોચ બસમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં હાઇવે પર દોડધામ મચી ગઈ હતી. જોકે, બસના ચાલકની સમયસૂચકતા અને સ્થાનિક લોકોની તત્પરતાને કારણે બસમાં સવાર તમામ 28 મુસાફરોનો આબાદ બચાવ થયો છે અને એક બહુ મોટી જાનહાનિ ટળી છે.

બનાવની વિગત એવી છે કે આજે બપોરે 4.30 વાગ્યાના અરસામાં સુદામા ટ્રાવેલ્સની સ્લીપર કોચ બસ સાંગાણી હાઇવે પરથી પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક તેના એન્જિનના ભાગમાંથી જોરદાર ધુમાડા નીકળતા દેખાયા હતા. બસ ચાલક રાજુભાઈ ઓડેદરાને તુરંત જોખમનો અહેસાસ થતાં તેમણે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર બસને નજીકની એક હોટેલ પાસે સાઇડમાં ઊભી રાખી દીધી હતી. કાચ તોડી મુસાફરોને બહાર કઢાયા પણ જોતજોતામાં બસ ભીષણ આગને લીધે બળીને ખાખ થઇ ગઇ હતી.

આગ લાગવાની જાણ થતાં જ બસની અંદર રહેલા મુસાફરોમાં ચીસાચીસ અને ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો. ચાલક રાજુભાઈ, ક્લિનર તેમજ આસપાસના ગ્રામજનોએ તાત્કાલિક દોડી આવીને બસના કાચ તોડી નાખ્યા હતા અને અંદર ફસાયેલા તમામ ૨૮ મુસાફરોને હેમખેમ બહાર કાઢી લીધા હતા. મુસાફરો નીચે ઉતર્યાના ગણતરીના સમયમાં જ આગની જ્વાળાઓએ આખી બસને લપેટમાં લઈ લીધી હતી. હાઇવે પર બસ ભડભડ સળગતી હોવાના ભયાનક દ્રશ્યો સર્જાયા હતા. આ ઘટનામાં તમામ મુસાફરો સુરક્ષિત રહ્યા છે, પરંતુ તેમનો તમામ સરસામાન બળીને ખાખ થઈ ગયો હતો. આગને કારણે હાઇવે પર ભયાવહક દ્રશ્ય નિહાળવા લોકોના ટોળા એકઠા થઈ ગયેલ હતા અને ઊગરી ગયેલ મુસાફરોમાં ભયનો માહોલ મોતના મુખેથી બચી ગયાનો ભાવ જોવા મળતો હતો.