Get The App

જામનગરમાં ગેરકાયદે નાણાં ધીરધાર અને રાક્ષસી વ્યાજ વસૂલવા અંગેનો વધુ એક બનાવ સામે આવ્યો

Updated: Mar 29th, 2026

GS TEAM

Google News
Google News
જામનગરમાં ગેરકાયદે નાણાં ધીરધાર અને રાક્ષસી વ્યાજ વસૂલવા અંગેનો વધુ એક બનાવ સામે આવ્યો 1 - image

જામનગર શહેરમાં ગેરકાયદે વ્યાજખોરી અને ધમકી આપવાના મામલે સિટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. એક યુવાનને ચાર લાખ રૂપિયા વ્યાજે આપ્યા પછી તેનું 7 લાખ વ્યાજ વસુલી લીધા બાદ પણ હજુ બે લાખની માંગણી કરી ધમકી અપાતાં પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, વર્ષ 2024થી તા. 27/03/2026 દરમિયાન ગોકુલનગર, નવાનગર વિસ્તારમાં મોમાઈ પાન પાસે આ બનાવ બન્યો હતો. ફરિયાદી ભાવેશભાઈ નાનજીભાઈ ટાંક (ઉંમર 36 વર્ષ, રહેવાસી પટેલ પાર્ક, જામનગર)એ આરોપી પાસેથી રૂ. 4 લાખ વ્યાજે લીધા હતા.

આરોપી મીલનભાઈ હરીશભાઈ નાનાણી દ્વારા ફરિયાદી પાસેથી 15 ટકા વ્યાજના દરે રૂપિયા વસૂલવામાં આવ્યા હતા અને રૂ. ૪ લાખના બદલે કુલ રૂ. 7 લાખ સુધીની ઉઘરાણી કરી લેવામાં આવી હતી. તેમ છતાં આરોપીએ વધુ રૂ. 2 લાખની માંગણી કરી હતી.

ફરિયાદી પાસે વધુ રકમ ન હોવાને કારણે તેમણે પોલીસમાં ફરિયાદ કરવાની વાત કરતા આરોપીએ તેમને ધમકી આપી હતી કે “ફરિયાદ કરશો તો રહેવા નહીં દઉં અને મારી નાખીશ.”

આ મામલે આરીપી સામે ગુજરાત નાણાની ધીરધાર અધિનિયમ-2011ની કલમ 39, 40, 41, 42(એ) તથા ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 351(1) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.