Get The App

પશુ ઉછેર કેન્દ્રનાં કેટલાંક પશુઓ કતલખાને ધકેલાયા હોવાની આશંકા

Updated: Jun 1st, 2026

GS TEAM

Google News
Google News
પશુ ઉછેર કેન્દ્રનાં કેટલાંક પશુઓ કતલખાને ધકેલાયા હોવાની આશંકા 1 - image

કામધેનુ યુનિ.માં ભેંસ પ્રજાતિના પશુઓની હરરાજી થઈ છે  : ખેડૂતો તથા પશુપાલકો બની અમુક તત્ત્વોએ હરરાજીમાંથી પશુઓ ખરીદી કરી તેનો ગેરલાભ લીધો હોવાના આક્ષેપ

જૂનાગઢ, : જૂનાગઢની કામધેનુ યુનિવર્સિટીના સીબીએફ (કેટલ બ્રિડીંગ ફાર્મ)માં રાખવામાં આવેલા ભેંસ પ્રજાતિના પશુઓની હરરાજી કરવામાં આવી હતી. તેમાં કુલ 73 પશુઓની હરરાજી થકી સરકારને 45 લાખ જેટલી આવક થઈ હતી પરંતુ કમનસીબે હરરાજીમાં ભાગ લેનાર અમુક શખ્સોએ પશુઓને કતલખાને ધકેલી દીધા હોવાના આક્ષેપ ઉઠતા મામલો ગરમાયો છે.

કામધેનુ યુનિવર્સિટીમાં પશુ ઉછેર કેન્દ્રમાં ગૌવંશ અને ભેંસની સારી પ્રજાતિનો ઉછેર કરી સંશોધન કરવાનો મુળ ઉદેશ છે. અમુક નબળા પશુઓ તથા ક્ષમતાથી વધારાના પશુઓની સમયાંતરે હરરાજી કરવામાં આવે છે. આ વખતે ભેંસ, પાડા, ખડેલી ભેંસની હરરાજી હતી. ખેડૂતોને અને પશુપાલકોને સારા પ્રજાતિના દુધાળા પશુઓ મળે તેવા ઉદ્દેશથી સીબીએફ ફાર્મ દ્વારા હરરાજી રાખવામાં આવી હતી. આ હરરાજીમાંથી પશુ ખરીદવા માટે ખેડૂત હોવાના પુરાવારૂપે ૭/૧ર, પશુપાલક હોવાના ભાગરૂપે ડેરી કે દૂધ મંડળી અથવા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાનો દાખલો હોય તેને જ હરરાજીમાં ભાગ લેવા મળે છે. હરરાજીની પ્રક્રિયામાં ઘણી વખત પશુઓ કતલખાને જતા હોવાની રાવ આવતી હોવાથી આ વખતે જીવદયા પ્રેમીઓએ સીબીએફ ફાર્મના અધિકારીઓને રજુઆત કરી હતી કે, ઈદ પછી હરરાજીમાં વેંચેલા પશુઓની સોંપણી કરવામાં આવે જેથી આ વાત અધિકારીઓએ માન્ય રાખી હતી.

હરરાજીમાં માંગરોળ પંથકના અમુક શખ્સોએ જરૂરી આધારપુરાવાઓ આપી ભેંસ, પાડા, ખડેલીની ખરીદી કરી હતી અને તેમાંથી અનેક પશુઓને કતલખાને ધકેલી દેવામાં આવ્યા હોવાના માલધારીઓ તથા જીવદયાપ્રેમીઓએ આક્ષેપ કર્યા છે. આ મામલે જવાબદારોએ જણાવ્યું હતું કે, અમે નિયમ મુજબ હરરાજી કરી છે, હવે પશુઓ કોણ ક્યાં લઈ ગયા તેની જાણ હોતી નથી. આ અંગે જીવદયાપ્રેમીઓ અને માલધારીઓએ આક્ષેપ કર્યા છે કે, સરકાર જ પશુઓને સાચવી શકતી ન હોવાથી આવી પોલિસી બનાવી આડકતરી રીતે પશુધનને કતલખાને ધકેલતી હોવાની આશંકા છે. સરકારે આવા ગંભીર મુદ્દે કંઈક ખાસ ગાઈડલાઈન બનાવી સરકારી પશુઓને કતલખાને જતા અટકાવવા જોઈએ તેવી માંગ ઉઠી છે. અમુક પશુઓ સક્કરબાગ અને અમુક પશુઓ ગેરકાયદે ધમધમતા કતલખાનામાં ધકેલાયા હોવાના આક્ષેપ ઉઠતા રોષ ભભૂક્યો છે.