- મુખ્ય સુત્રધાર સહિત 3 વ્યકિત સામે ફરિયાદ
- ડ્રાયફૂટ્સ અને અનાજના વ્યવસાયમાં ઊંચા વળતરની લાલચ આપીને રોકાણ કરાવીને રૂપિયા પરત ન આપીને ઠગાઇ કરી
આણંદ : આણંદના મોગરી ગામના વેપારી સાથે ડ્રાયફૂટ્સ અને અનાજના વ્યવસાયમાં ઊંચા વળતરની લાલચ આપીને ૧.૫૩ કરોડની છેતરપિંડી આચરવામાં આવી છે. મુખ્ય આરોપી અને તેના સાથીદારોએ પૂર્વ આયોજિત કાવતરૂ રચી, વેપારી અને તેમના પરિવારના સભ્યો પાસેથી અલગ અલગ બેંક ખાતાઓ અને રોકડ સ્વરૂપે રોકાણ કરાવીને વિશ્વાસ કેળવ્યા બાદ છેતરપિંડી આચરવામાં આવતા ત્રણ વ્યકિત સામે વિદ્યાનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
તાલુકાના મોગરી ગામમાં શક્તિ પાર્ક સોસાયટીમાં રહેતા અને વાસણનો વ્યવસાય કરતા લલિત કુમાર ગોપાલભાઇ સોમાની ( ઉ.વ.૩૫)એ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યુ છે કે, એપ્રિલ ૨૦૨૪માં અરોપી તુષાર ધીરજલાલ જાનીની દુકાને લલિત કુમાર વાસણ ખરીદવા ગયા હતા. તે સમેયે તેણે અનાજ અને કરિયાણાનો હોલસેલ વેપાર કરતો હોવાનું જણાવીને વેપારીનો વિશ્વાસ કેળવ્યો હતો. બાદ તુષારના સંબંધી ઉવર્શી બહેન વિવેકભાઇ મહેતાએ પણ વેપારીની મુલાકાત લીધી હતી અને વિશ્વાસ કેળવ્યો હતો અને ગુજ્જુસ સ્વાદ સંગમ નામે વ્યવસાય શરૂ કરવાની વાતો કરીને રોકાણ માટે પ્રેયા હતા. શરૂઆતમાં ૩૫ હજારના રોકણ સામે ૪ હજારનો નફો રોકડમાં પરત આપીને આરોપીઓએ વેપારીનો વિશ્વાસ જીત્યો હતો. બાદમાં પરિવારના સભ્યોના ખાતામાંથી કરોડો રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા અને વિશ્વાસમાં આવી ગયેલા લલીત કુમારે પોતાના નહીં પરંતુ પોતાની માતા, પિતા, ભાઇ અખિલેશ, પત્ની જ્યોતિ બહેન માસી -મામાના ખાતામાંથી મોટી રકમ આરોપીઓને ટ્રાન્સફર કરી હતી.
જેમાં માતાના ખાતમાંથી ૩૧.૪૦ લાખ, ભાઇ અખિલેશના ખાતામાંથી ૨૩.૩૫ લાખ આપ્યા હતા. તેમજ તુષારના કહેવાથી ૪૦ લાખ રોકડા આપવામાં આવ્યા હતા. આરોપીએ વેપારીના ક્રેડિડ કાર્ડનો ઉપયોગ કરી ૮.૩૦ લાખ વાપરી નાખ્યા હતા. આમ ટુકડે ટુકડી કરીને કુલ ૧.૫૩ કરોડનું રોકાણ કરાવવામાં આવ્યું હતું. જે રકમ પરત કરવામાં આરોપી તુષાર જાની, ઉર્વીશી મહેતા સહિતે વાયદા કર્યા હતા અને પરત આપ્યા ન હતા.
નવેમ્બર ૨૦૨૫માં વેપારીએ પોતાના નાણા પરત માંગ્યા હતા. ત્યારે તુષાર જાનીએ બે દિવસમાં નાણાં ચુકવવાનો વાયદો કર્યો હતો. જોકે, ૭ નવેમ્બર ૨૦૨૫ના રોજ જાણવા મળ્યું છે કે, તુષાર તેની ઓફિસે આવ્યો નથી અને સંપર્ક થઇ શક્યો નથી. તપાસ કરતા જાણ થઇ છે કે, અગાઉ પણ અન્ય લોકો સાથે આવી રીતે છેતરપિંડી કરી ચૂક્યો છે.
આ મામલે વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં લલિતકુમાર જાનીએ તુષાર ધીરજલાલ જાની ( રહે. મોગરી, તા.આણંદ), ઉવર્શી બહેન વિવેક મહેતા ( રહે. કરમસદ, તા. આણંદ) અને કહાન્વી બહેન વિવેકભાઇ મહેતા ( રહે. શાશ્વાત લેન્ડ માર્કઅમરકુંજની સામે,કરમસદ) સામે ફરિયાદ નોંધાવી છે.


