Get The App

'ગોપાલ ઇટાલિયા આપમાં ઝાડુ મારી ભાજપમાં જશે', અમરેલી કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાતના પ્રહાર

Updated: Feb 14th, 2026

GS TEAM

Google News
Google News
'ગોપાલ ઇટાલિયા આપમાં ઝાડુ મારી ભાજપમાં જશે', અમરેલી કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાતના પ્રહાર 1 - image


Gujarat Politics: ગુજરાતના રાજકારણમાં ગરમાવો વધી રહ્યો છે, ખાસ કરીને આમ આદમી પાર્ટી(AAP)માં આંતરિક વિવાદ અને રાજીનામાના દોર વચ્ચે અમરેલી જિલ્લા કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાતે આકરા પ્રહારો કર્યા છે. તેમણે આપમાંથી રાજુ કરપડાના રાજીનામા બાદ ઈશુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયાના ભવિષ્ય અંગે ચોંકાવનારા નિવેદનો આપ્યા છે.

'ગોપાલ ઇટાલિયા પક્ષ સાફ કરી ભાજપમાં જોડાશે'

કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાતે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર નિશાન સાધતાં કહ્યું કે, 'ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીને સંપૂર્ણપણે મુક્ત કરી, પોતે પણ ઝાડુ મારીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે. જનતાએ હવે આ રાજકીય ખેલ સમજવાની જરૂર છે.'

ઈશુદાન ગઢવી અને રાજુ કરપડાનો ઉલ્લેખ

તાજેતરમાં આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપનારા ખેડૂત નેતા રાજુ કરપડાની સ્થિતિનો ઉલ્લેખ કરતાં દુધાતે જણાવ્યું હતું કે, 'વિસાવદરની ચૂંટણી વખતે રાજુ કરપડા મોટા નિવેદનો આપતા હતા, આજે તેમની હાલત શું છે તે સૌ જોઈ રહ્યા છે. વર્તમાન રાજકીય પરિસ્થિતિ જોતા હવે ઈશુદાન ગઢવીના પણ આ જ હાલ થવાના છે.' ટૂંક સમયમાં ઈશુદાન ગઢવીનો રાજકીય 'ભોગ' લેવાશે તેવી ભીતિ પણ તેમણે વ્યક્ત કરી હતી.

આ પણ વાંચો: અમદાવાદ શહેર ભાજપ સંગઠનની જાહેરાત, કોને કઈ જવાબદારી સોંપાઈ, જુઓ લિસ્ટ

રાજુ કરપડાના 'આપ' પર પ્રહાર

ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના જાણીતા અને ખેડૂત નેતા રાજુ કરપડાએ પક્ષમાંથી આપમાંથી રાજીનામું આપી દીધું હતું. રાજીનામા બાદ આજે (12મી ફેબ્રુઆરી) યોજાયેલી પત્રકાર પરિષદમાં તેમણે પોતાની વ્યથા ઠાલવતા પક્ષના નેતાઓ પર ગંભીર આક્ષેપો કર્યા છે. આપ પર ગંભીર આક્ષેપ કરતાં તેણે કહ્યું કે, 'હું જેલ બહાર ન આવું તેવી કેટલાક નેતાઓની માનસિકતા હતી. પ્રદેશના કેટલાક નેતાઓએ મને ફસાવવાનો પ્રયાસ કર્યો હતો. જેલવાસ દરમિયાન પાર્ટી એક સારા વકીલની વ્યવસ્થા પણ કરી શકી નહોતી અને જેલમાં ખેડૂતોને કાનૂની મદદ મળી નહતી.'