Get The App

અમદાવાદ: સરદારનગરમાં AMCના થાંભલા પર ગેરકાયદે RCC ચણતર કરનાર મકાન પર બુલડોઝર ફર્યું

Updated: Jun 18th, 2026

GS TEAM

Google News
Google News
અમદાવાદ: સરદારનગરમાં AMCના થાંભલા પર ગેરકાયદે RCC ચણતર કરનાર મકાન પર બુલડોઝર ફર્યું 1 - image

Illegal Construction In Ahmedabad: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના સરદારનગર વિસ્તારમાં સરકારી મિલકત પર કબજો જમાવનારા તત્વો સામે આખરે એસ્ટેટ વિભાગે લાલ આંખ કરી છે. AMCના આખેઆખા સ્ટ્રીટ લાઈટના થાંભલાની (પોલ) ફરતે ગેરકાયદે આરસીસી ચણતર કરનાર મકાન માલિક સામે એએમસી દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરીને બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે.

આખેઆખો સરકારી લાઈટ પોલ દુકાનની અંદર લઈ લીધો

મળતી માહિતી અનુસાર, અમદાવાદના સરદારનગર (G વોર્ડ) વિસ્તારમાં ગેરકાયદે બાંધકામની અજીબોગરીબ ઘટના સામે આવી હતી. અહીં લાલુમલ નામના શખસે ગેરકાયદે બાંધકામની તમામ હદો પાર કરીને પોતાના મકાનનું ધાબું આગળ લંબાવી દીધું હતું. તેણે ફૂટપાથ પર રહેલા એએમસીના આખેઆખા થાંભલાને જ પોતાના ચણતરની અંદર લઈ લીધો હતો. આ બેફામ ગેરકાયદે બાંધકામના કારણે સરકારી લાઈટનો થાંભલો ધાબાની અંદર આશરે 1.5થી 2 ફૂટ જેટલો ફસાઈ ગયો હતો.

કોર્પોરેટરની ઓફિસ સામે જ થયો હતો સરકારી સંપત્તિ પર કબજો

સૌથી વધુ આશ્ચર્યની વાત એ હતી કે, આ ગેરકાયદે ચણતર સ્થાનિક ભાજપના કોર્પોરેટર સન્ની ખાનચન્દાનીના કાર્યાલયની બરાબર સામે જ કરવામાં આવ્યું હતું. કોર્પોરેટરની ઓફિસની સામે જ જાહેરમાં સરકારી સંપત્તિનો સોથ વળી ગયો, છતાં તેઓ કે તંત્ર આ બાંધકામ અટકાવી શક્યા ન હતા. સામાન્ય રીતે ગરીબોના લારી-ગલ્લા તાત્કાલિક હટાવવા દોડતું એએમસીનું એસ્ટેટ વિભાગ આટલું મોટું આરસીસી બાંધકામ થતું રહ્યું ત્યાં સુધી ઘોર નિદ્રામાં જોવા મળ્યું હતું, જેને પગલે તંત્રની મિલીભગત સામે અનેક સવાલો ઊભા થયા હતા.

ભાંડો ફૂટતા મકાન માલિકનો લૂલો બચાવ 

આ સમગ્ર વિવાદ સોશિયલ મીડિયા અને મીડિયામાં વહેતો થતાં જ મકાન માલિક લાલુમલનો ભાંડો ફૂટી ગયો હતો. મામલો ગરમાતા જ મકાન માલિકે પોતાનો બચાવ કરતા લૂલો અને અજીબોગરીબ તર્ક આપ્યો હતો કે, 'જ્યારે આ ચણતર કામ થયું ત્યારે હું પોતે બહારગામ હતો અને મારી ગેરહાજરીમાં મજૂરો દ્વારા ભૂલથી આ થાંભલાની ફરતે કામ કરી દેવામાં આવ્યું છે.'

વિવાદ વકરતા જ AMC એક્શન મોડમાં 

કોર્પોરેટરની ઓફિસ સામે સરકારી પોલ બંધકામમાં ફસાઈ ગયાની તસવીરો વાઈરલ થતાં જ મનપા સત્તાધીશો સફાળા જાગ્યા હતા. ત્યારબાદ એએમસીના એસ્ટેટ વિભાગે કોઈ પણ પ્રકારની શેહશરમ રાખ્યા વિના તાત્કાલિક એક્શન લીધા હતા. તંત્રની ટીમ બુલડોઝર અને મજૂરો સાથે ઘટનાસ્થળે પહોંચી હતી અને સરકારી સંપત્તિ પર કરાયેલું આ ગેરકાયદે આરસીસી બાંધકામ તોડી પાડીને થાંભલાને મુક્ત કરાવ્યો હતો. તંત્રની આ કડક કાર્યવાહી બાદ ગેરકાયદે દબાણ કરનારા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.