Get The App

ફૂટપાથ ઉપરના દબાણ દુર કરી શકતા નથી છતાં અમદાવાદના ૯૦ રોડ ઉપર મ્યુનિ.કોર્પોરેશન ગ્રિલ-રેલિંગ લગાવશે

પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ ૩૫ રસ્તા ઉપર ગ્રિલ-રેલિંગ, વરિષ્ઠ નાગરિક, દિવ્યાંગ,બાળકોની સુરક્ષાને ધ્યાનમા રાખવામા આવશે

Updated: May 21st, 2026

GS TEAM

Google News
Google News
ફૂટપાથ ઉપરના દબાણ દુર કરી શકતા નથી છતાં અમદાવાદના ૯૦ રોડ ઉપર મ્યુનિ.કોર્પોરેશન ગ્રિલ-રેલિંગ લગાવશે 1 - image

અમદાવાદ,બુધવાર,20 મે,2026

અમદાવાદના તમામ ૪૮ વોર્ડમાં ફૂટપાથ ઉપરના દબાણ એસ્ટેટ વિભાગ દુર કરી શકતુ નથી. આમ છતાં શહેરના સાત ઝોનના ૯૦ રસ્તા ઉપર ગ્રિલ-રેલિંગ લગાવવા મ્યુનિસિપલ કોર્પોરેશને આયોજન કર્યુ છે. પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ ૩૫ રસ્તા ઉપર ગ્રિલ-રેલિંગ લાગશે,વરિષ્ઠ નાગરિક,દિવ્યાંગ તથા બાળકોની સુરક્ષાને ધ્યાનમા રાખવામા આવશે.

શહેરના મુખ્ય જંકશનના ડેવલપમેન્ટની કામગીરી શરુ કરવામા આવી છે.જેમાં પદયાત્રીઓની સલામતી,ટ્રાફિકની સરળ અવર જવર સહિતના મુદ્દાઓને ધ્યાનમા લેવામા આવશે.પોલીસી મુજબ, વાહનોનુ અતિક્રમણ અટકાવવા અને વાહનો ફૂટપાથ ઉપર ચઢી ના જાય એ માટે સેફટી રેલિંગ સ્થાપિત કરવામા આવશે.રોડ સાઈડ પ્રોટેકટિવ બેરીયર્સ લગાવી લોકોની સુરક્ષામા વધારો કરવાનો કોર્પોરેશને દાવો કર્યો છે.દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં ૧૦, દક્ષિણ ઝોનમાં ૧૩, ઉત્તર-પશ્ચિમ ઝોનમાં ૭ ઉપરાંત ઉત્તર ઝોનમાં ૧૨ તેમજ મધ્યઝોનમાં પાંચ અને પૂર્વ ઝોનમાં આઠ રસ્તાનો સમાવેશ થાય છે.જોધપુર વોર્ડમાં રિધ્ધિ ટાવર અને લોટસ સ્કૂલ પાસે અનુક્રમે ૧૦૦ અને ૫૦ મીટર લંબાઈની રેલિંગ લગાવી દેવાઈ છે.

કયા મુખ્ય રસ્તા ઉપર રેલિંગ લગાવાશે

-કામેશ્વર મહાદેવ સામેનો રોડ

-મકરબા-એસ.પી.રીંગ રોડ

-પારસમણી એપાર્ટમેન્ટથી આઈ.ઓ.સી.પેટ્રોલ પંપ સુધી

-શાસ્ત્રીનગરથી વરદાન ટાવર સુધી

-સી.જી.રોડ,આશ્રમ રોડ

-આઈ.આઈ.એમ,હેલ્મેટ સર્કલ રોડ

-કોમર્સ છ રસ્તાથી સી.એન.સર્કલ સુધી

-સ્ટેડિયમ પાંચ રસ્તાથી સરદાર પટેલ બાવલા સુધી

-મીઠાખળી સર્કલ વિસ્તાર

-સાબરમતી રેલવે સ્ટેશનથી ચાંદખેડા સર્કલ સુધી

-મોટેરા સાઈ મંદિરથી કોબા મેટ્રો સ્ટેશન સુધી

-વિસત સર્કલથી ટોલનાકા સુધી

-જીવરાજપાર્ક ચાર રસ્તા,ગીતા મંદિર

-મેમનગર ચાર રસ્તાથી સંજીવની ક્રોસ રોડ

-વસ્ત્રાપુર તળાવ ફ્રન્ટ,ગુરુકુળ રોડ

૧૦૮ ટ્રાફિક જંકશન ઉપર ટ્રાફિક જામ થાય છે

અમદાવાદ શહેરના ૪૮ વોર્ડમાં આવેલા ટ્રાફિક જંકશન પૈકી ૧૦૮ ટ્રાફિક જંકશન ઉપર પીક અવર્સ ઉપરાંત પીક અવર્સ ના હોય તો પણ સતત ટ્રાફિક જામની સમસ્યા જોવા મળે છે.જે ટ્રાફિક જંકશન ઉપર સતત ટ્રાફિક જામ થવાની સમસ્યા રહે છે તેવા જંકશન ઉપર મોટી ફૂટપાથ હોય તો તેને નાની કરવા તેમજ લેફટ ટર્ન ફ્રી કરવાની કામગીરી કરવા મ્યુનિસિપલ કમિશનરે અધિકારીઓને આદેશ આપ્યો છે.

ટ્રાફિક નિયંત્રણ માટે ગુગલ મેપ ટેકનોલોજીનો ઉપયોગ કરાશે

        અમદાવાદમાં ટ્રાફિક નિયંત્રણ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગુગલ મેપ ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો નિર્ણય કરવામા આવ્યો છે.લાઈવ ટ્રાફિક ડેટા, એ.આઈ આધારીત આયોજનથી ટ્રાફિક મેનેજમેન્ટ કરાશે.અમદાવાદ દેશનુ અગ્રણી સ્માર્ટ સિટી બનશે.આ સિસ્ટમ માટે શહેરમા નવા કેમેરા અથવા સેન્સર લગાવવાની જરૃર નહી રહે.ગુગલ મેપ દ્વારા ઉપલબ્ધ કરાવવામા આવતી માહીતી ટ્રાફિક કયોર પ્લેટફોમ મારફતે  શહેરના વ્યસ્ત ટ્રાફિક કોરીડોર ઉપર પાયલોટ પ્રોજેકટ હાથ ધરવામા આવશે.