Get The App

ગુજરાતમાં મુખ્યમંત્રી સિવાયના તમામ મંત્રીના રાજીનામા, સવારે નવા મંત્રીમંડળની શપથવિધિ

Updated: Oct 16th, 2025

GS TEAM

Google News
Google News
ગુજરાતમાં મુખ્યમંત્રી સિવાયના તમામ મંત્રીના રાજીનામા, સવારે નવા મંત્રીમંડળની શપથવિધિ 1 - image


Gujarat cabinet expansion : ગુજરાતના રાજકારણમાં અત્યાર સુધીના સૌથી મોટા અને આશ્ચર્યજનક સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં મંત્રીમંડળના વિસ્તરણની પ્રક્રિયા અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સિવાયના તમામ મંત્રીઓએ રાજીનામાં આપી દીધા છે. મળતી માહિતી મુજબ, સૌપ્રથમ ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ રાજીનામું આપ્યું હતું, ત્યાર બાદ એક પછી એક તમામ મંત્રીઓએ રાજીનામાં આપી દીધા. આ રાજીનામાં જગદીશ વિશ્વકર્માને સુપરત કરવામાં આવ્યા હતા, જેમણે તમામ મંત્રીઓને રાજીનામું આપવાની સૂચના આપી હતી.

જગદીશ વિશ્વકર્મા સહિત કુલ 16 મંત્રીએ રાજીનામાં આપ્યા છે. રસપ્રદ બાબત એ છે કે મુખ્યમંત્રીએ મંત્રીઓ પાસે રાજીનામું માગ્યું ન હતું. મુખ્યમંત્રી સાથે તમામ નેતાઓની બેઠક પૂર્ણ થઈ ગઈ છે, અને અહેવાલો મુજબ, બેઠક શરૂ થાય તે પહેલાં જ રાજીનામાંનું એક ફોર્મ તૈયાર રાખવામાં આવ્યું હતું, જેના પર મંત્રીઓએ માત્ર સહી કરવાની હતી. હવે, આ મંત્રીઓએ આપેલા રાજીનામાં રાજ્યપાલને સોંપવામાં આવશે, અને આ સંદર્ભમાં મુખ્યમંત્રી એક પત્ર રાજ્યપાલને સુપરત કરશે.

'નો-રિપીટ' થિયરીની ફોર્મ્યુલાની અટકળો?

આ સૌથી મોટા રાજકીય પરિવર્તન વચ્ચે ભારતીય જનતા પાર્ટી (BJP) ફરી એકવાર 2021ની માફક 'નો-રિપીટ' થિયરીની ફોર્મ્યુલા લાગુ કરશે કે પછી કેટલાક જૂના મંત્રીઓને રિપીટ કરશે? તેને લઈને પણ ચર્ચાઓ થઈ રહી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મોટા ભાગના વર્તમાન મંત્રીઓને આ વખતે પડતા મૂકવામાં આવશે કે પછી કેટલાક મંત્રીઓનો મંત્રીમંડળમાં ફરી સમાવેશ કરી તેમનું ખાતુ કે પદ અપગ્રેડ કરવામાં આવે તેવી પણ શક્યતા છે. 

મંત્રીમંડળની બેઠકમાં નિર્ણય લેવાયો

મળતી માહિતી મુજબ, ગુરુવાર બપોરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને મંત્રીમંડળની બેઠક મળી હતી, જેમાં તમામ મંત્રીઓએ સામૂહિક રીતે રાજીનામા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિર્ણય બાદ હવે સૌની નજર નવા મંત્રીમંડળની જાહેરાત પર ટકેલી છે.

નાયબ મુખ્યમંત્રીની નિમણૂકની પણ ચર્ચા

સાથે જ, રાજ્યમાં નાયબ મુખ્યમંત્રી (Deputy CM)ની નિમણૂક અંગે પણ રાજકીય ગલિયારામાં જોરદાર ચર્ચા ચાલી રહી છે. ભાજપના મોવડીમંડળ દ્વારા આ અંગે શું નિર્ણય લેવાય છે, તેના પર સૌની નજર છે.

ગુજરાતમાં મુખ્યમંત્રી સિવાયના તમામ મંત્રીના રાજીનામા, સવારે નવા મંત્રીમંડળની શપથવિધિ 2 - image

શપથવિધિની સત્તાવાર જાહેરાત

નવા મંત્રીમંડળની શપથવિધિ માટેની સત્તાવાર જાહેરાત રાજ્યપાલ દ્વારા કરી દેવામાં આવી છે. નવા મંત્રીમંડળની શપથવિધિ શુક્રવારે (17મી ઓક્ટોબર) ના રોજ મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે યોજાશે.

શપથવિધિ સમારંભ પૂર્ણ થયા બાદ તરત જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં નવી કેબિનેટની પ્રથમ બેઠક પણ યોજાશે. ગુજરાતના રાજકીય ઇતિહાસમાં આ એક મોટો અને મહત્ત્વનો ફેરફાર છે, જેના પર સમગ્ર દેશની નજર છે.


Tags :