Get The App

જિલ્લાના ગ્રામ્યવિસ્તારમાં ઓરીના બાળદર્દીઓમાં ચિંતાજનક વધારો

Updated: Feb 16th, 2026

GS TEAM

Google News
Google News
જિલ્લાના ગ્રામ્યવિસ્તારમાં ઓરીના બાળદર્દીઓમાં ચિંતાજનક વધારો 1 - image

માણસા, દહેગામ અને કલોલના ગામોમાં છુટાછવાયા કેસ સામે આવ્યા

પેટ સહિત શરીર પર લાલ દાણા અને તાવના લક્ષણો મિઝલ્સ વાયરસ ચેપી હોવાથી તકેદારી રાખવી જરૃરી

ગાંધીનગર :  ગાંધીનગર જિલ્લાના ગ્રામ્યવિસ્તારોમાં છેલ્લા ઘણા દિવસોથી ઓરીના ચેપી દર્દીઓ પ્રકાશમાં આવી રહ્યા છે. પાંચ વર્ષથી લઇને ૧૫ વર્ષ સુધીના બાળકોમાં આ ચેેપી વાયરસ ફેલાઇ રહ્યો છે. જો કે, હાલ આ તમામ કેસ છુટાછવાયા હોવાનું જાણવા મળી રહ્યું છે તેમ છતા બાળદર્દીઓમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. તાવ સહિત પેટથી લઇને પુરા શરીર પર લાલ દાણા નીકળવાના લક્ષણો સાથે સિવિલના બાળવિભાગ, સ્કિન વિભાગ અને ઘણી વધત મેડિસીન ડિપાર્ટમેન્ટમાં પણ દર્દીઓ સામે આવી રહ્યા છે.

ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય પંથકોમાં છેલ્લા કેટલાક દિવસોથી ઓરીના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને નાના બાળકોમાં તાવ અને શરીર પર લાલ ચકામા જેવા લક્ષણો દેખાતા વાલીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલના બાળરોગ અને સ્કીન વિભાગમાં છેલ્લા ૧૫ દિવસથી દર્દીઓનો ધસારો વધ્યો છે, જેને પગલે આરોગ્યતંત્ર હરકતમાં આવ્યું છે અને છુટછવાયા કેસ રોગચાળામાં પરિણમે નહીં તે માટે સઘન સર્વેલન્સ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

આ અંગે બાળરોગના નિષ્ણાંત તબીબ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, ઓરી એ અત્યંત ચેપી રોગ છે, જે વાયરસ દ્વારા ફેલાય છે. તબીબોના જણાવ્યા અનુસાર, આ રોગની શરૃઆત સામાન્ય રીતે તીવ્ર તાવથી થાય છે. ત્યારબાદ બાળકના ચહેરા પરથી શરૃ થઈને આખા શરીર પર, પેટ અને પીઠના ભાગે લાલ રંગના ઝીણા દાણા નીકળે છે.સખત તાવ આવવો,ખાંસી, વહેતું નાક અને આંખો લાલ થવી,શરીર પર લાલ રંગના ચકામા કે દાણા નીકળવા,ગળામાં સોજો કે બળતરા થવી ઓરીના લક્ષણો છે.જો બાળકમાં આવા લક્ષણો જણાય તો તેને અન્ય બાળકોથી અલગ રાખવું જોઈએ, કારણ કે આ હવા દ્વારા ફેલાતો ચેપી રોગ છે અને કોઇ દોરા-ધાગા કે ભુવા અંધશ્રધ્ધામાં માન્યા વગર કે ઘરેલુ ઉપચાર કર્યા વગર તબીબોની સલાહ લેવી જોઇએ.

 ઓરીના બાળદર્દીને ન્યુમોનિયા કે મગજનો ગંભીર તાવ આવી શકે

ઓરીના કેસો વધતા તંત્ર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં સર્વેલન્સની કામગીરી તેજ કરવામાં આવી છે. તબીબોનું માનવું છે કે ઓરીથી ગભરાવાની જરૃર નથી, પરંતુ સમયસરની તબીબી સલાહ અનિવાર્ય છે. જો સમયસર સારવાર ન મળે તો તે ન્યુમોનિયા કે મગજના તાવ જેવી ગંભીર સ્થિતિ ઉભી થઇ શકે છે.તો બીજીબાાજુ તબીબો દ્વારા ઓરીના દર્દીઓને વિટામિન-એ ના ડોઝ આપવાથી રિકવરી ઝડપી બને છે.એટલુ જ નહીં, બાળકને પૂરતા પ્રમાણમાં પ્રવાહી અને પૌષ્ટિક ખોરાક આપવો જોઇએ અને કોઇ બાળકને એમઆરની રસી આપવાની બાકી હોય તે તેમને રસી અપાવી દેવી જોઇએ તેમ પણ તબીબોએ જણાવ્યું હતુ.

 સિવિલના પિડીયાટ્રીક ઉપરાંત સ્કિન ઓપીડીમાં દર્દીઓ વધ્યા

ઓરીના કારણે તાવ આવવાની સાથે પેટથી લઇને પુરા શરીર ઉપર ઝીણા લાલ રંગના દાણા જેવું નિકળે છે શરૃઆતમાં બાળદર્દીના વાલી કે માતા પિતાને આ ઓરી છે તે અંગે કોઇ ખ્યાલ હોતો નથી જેના કારણે બાળદર્દીઓને સિવિલની ઓપીડીમાં લઇ જવામાં આવે છે જો કે, અહીં આ લક્ષણો ઓરીના હોવાનું તબીબો દ્વારા નિદાન કરીને તેની દવા-સારવાર આપવામાં આવે છે તો બીજીબાજુ સિવિલના બાળરોગ વિભાગની ઓપીડીમાં પણ ઓરીના કેસમાં વધારો થઇ રહ્યો છે. જે પણ ચિંતાનું કારણ છે.ઘણા બાળદર્દીઓને દાખલ કરીને પણ સારવાર આપવાની ફરજ પડી છે.