Get The App

દાહોદમાં પોલીસકર્મીની પત્નીએ બે સંતાનોની હત્યા કરી પોતે ઝેરી દવા ગટગટાવી, ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાઈ

Updated: Apr 16th, 2026

GS TEAM

Google News
Google News
દાહોદમાં પોલીસકર્મીની પત્નીએ બે સંતાનોની હત્યા કરી પોતે ઝેરી દવા ગટગટાવી, ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાઈ 1 - image
 File Photo X

Dahod News : દાહોદમાં કાળજું કંપાવતી ઘટના બની છે. પોલીસકર્મીની પત્નીએ બે માસૂમ પુત્રોની ઝેર આપી હત્યા કરી અને પોતે પણ ઝેરી દવા ગટગટાવીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. દાહોદ શહેરમાં આજે બે ખુબ જ ચોંકાવનારી ઘટનાઓ બની છે. એક કિસ્સામાં માતાએ પોતાનાં ચાર સંતાનો સાથે કૂવામાં પડતું મુક્યું હતું. જ્યારે બીજી ઘટનામાં પોલીસ પરિવારને વેરવિખેર કરી નાખ્યો હતો. 

પોલીસ કર્મચારીનો પરિવાર નંદવાયો

ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર દાહોદનાં એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા એક પોલીસકર્મીના ઘરમાં જ માતમ છવાયો છે. પોલીસકર્મીની પત્નીએ પોતાના જ 7 અને 3 વર્ષના બે વ્હાલસોયા પુત્રોની હત્યા કરી પોતે પણ આપઘાતનો પ્રયાસ કરતા સમગ્ર પંથકમાં સનસનાટી મચી ગઈ છે.

સૌ પ્રથમ બાળકોને ઝેર આપ્યું, પછી પોતે પીધું

પ્રાપ્ત વિગતો અનુસાર, એ-ડિવિઝન પોલીસ મથકના પોલીસકર્મીની પત્નીએ કોઈ અગમ્ય કારણોસર આ આત્યંતિક પગલું ભર્યું હતું. મહિલાએ પહેલા પોતાના બે માસૂમ પુત્રોને ઝેરી દવા પીવડાવી દીધી હતી. ઝેરની અસરને કારણે બંને બાળકોએ તરફડિયાં મારીને દમ તોડ્યો હતો. પોતાના જ સંતાનોના નિર્જીવ દેહ જોઈને માતાએ પણ એ જ ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો.

આ પણ વાંચો : દાહોદના વડભેટ ગામે કૌટુંબિક કંકાસમાં માતાએ ચાર સંતાનો સાથે કૂવામાં ઝંપલાવ્યું, ત્રણ માસૂમ બાળકોના મોતથી અરેરાટી

ખાનગી હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે જંગ

ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ગંભીર હાલતમાં મહિલાને તાત્કાલિક દાહોદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. હાલ ડોક્ટરોની ટીમ દ્વારા તેને બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ તેની સ્થિતિ અત્યંત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.

પોલીસ બેડામાં અરેરાટી

ખુદ પોલીસ પરિવારમાં સર્જાયેલી આ કરૂણ દુર્ઘટનાને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા છે. બી-ડિવિઝન પોલીસે આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. શું આ પાછળ કોઈ પારિવારિક કંકાસ જવાબદાર છે કે પછી મહિલા કોઈ માનસિક તણાવમાંથી પસાર થઈ રહી હતી? તે દિશામાં ઉંડી તપાસ હાથ ધરવામાં આવી છે. એક હસતા-રમતા પરિવારના બે ચિરાગ બુઝાઈ જતાં સમગ્ર દાહોદમાં શોકનું મોજું ફરી વળ્યું છે.