અમદાવાદ: સાણંદના વિરોચન નગર પાસે ટ્રિપલ અકસ્માત, થાર પર ડમ્પર પલટી જતાં બેના મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Road Accident In Ahmedabad: સાણંદના વિરોચન નગર ગામ નજીક ગત મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ટેન્કર, ડમ્પર અને થાર ગાડી વચ્ચે થયેલા આ ટ્રિપલ અકસ્માતમાં બે વ્યક્તિઓના મોત નિપજ્યા છે. અકસ્માત એટલો ભયાનક હતો કે ટક્કર બાદ વાહનોમાં એકાએક આગ ફાટી નીકળી હતી, જેના કારણે હાઈવે પર ભારે અફરાતફરી મચી ગઈ હતી.

કપચી ભરેલા ડમ્પર નીચે થાર દબાઈ ગઈ
મળતી માહિતી અનુસાર, ડમ્પર અને ટેન્કરના ચાલકોએ ગફલતભરી રીતે વાહનો હંકારતા આ અકસ્માત સર્જાયો હતો. ટક્કર લાગ્યા બાદ કપચી ભરેલું ડમ્પર સંતુલન ગુમાવીને બાજુમાંથી પસાર થઈ રહેલી થાર ગાડી પર પલટી મારી ગયું હતું. ગાડી પર કપચીનો ઢગલો થઈ જતાં તેમાં સવાર લોકો નીચે દબાઈ ગયા હતા, જેમાં બે લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતકોમાં એક સાણંદના અમથાપુરા ગામના વતની અને એક અન્ય અજાણ્યા વ્યક્તિનો સમાવેશ થાય છે.

અકસ્માત બાદ વાહનો બળીને ખાખ
ટક્કર થયાના ગણતરીની મિનિટોમાં જ વાહનોમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગની જ્વાળાઓ દૂર-દૂર સુધી દેખાતી હતી અને વાહનો બળીને ખાખ થઈ ગયા હતા. આ ઘટનાને પગલે હાઈવે પર કિમી સુધી લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી મોડી રાત્રે આગ પર કાબૂ મેળવ્યો હતો.

ચાલકો ફરાર, પોલીસની તપાસ શરૂ
અકસ્માત સર્જ્યા બાદ ડમ્પર અને ટેન્કરના ચાલકો વાહનો મૂકીને ફરાર થઈ ગયા હતા. સાણંદ જીઆઈડીસી પોલીસે આ મામલે બંને ચાલકો વિરુદ્ધ ગુનો દાખલ કરી તેમની શોધખોળ હાથ ધરી છે. પોલીસે ક્રેઈન દ્વારા અકસ્માતગ્રસ્ત વાહનોને હાઈવે પરથી હટાવી વાહન વ્યવહાર ફરી પૂર્વવત કરાવ્યો હતો.








