Ahmedabad News : અમદાવાદના એસપી રિંગ રોડ પર ન્યુ ત્રાગડ અને ચાંદખેડાના સ્થાનિકો એકઠા થઈને વિરોધ નોંધાવ્યો છે. પ્રદર્શનકારીઓનું કહેવું છે કે, ઝુંડાલ નજીક ડિવાઈડર કટ બંધ કરાતા પરિવહનમાં મુશ્કેલી પડી રહી છે. જેમાં 3-5 કિલોમીટર ફરીને જવાનું પડે છે. સમગ્ર મામલે સ્થાનિકો રોડ પર ઉતરી આવ્યા છે અને બંને તરફ રોડ રોકીને વિરોધ નોંધાવી રહ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.

અમદાવાદનો એસપી રિંગ રોડ ચક્કાજામ
અમદાવાદના એસપી રિંગ રોડ પર ઝુંડાલથી વૈષ્ણોદેવી સર્કલ વચ્ચે નજીક આજે(21 ફેબ્રુઆરી, 2026) મોડી રાતે સ્થાનિકોએ વિરોધ કરતા 3-4 કિલોમીટર સુધીનો ટ્રાફિક જામ થતાં ત્યાંથી પસાર થતાં લોકો ભારે મુશ્કેલીમાં મૂકાયા હતા. અહીં ડિવાઈડર કટ છેલ્લા કેટલાક દિવસથી બંધ કરી દેવાતા સ્થાનિકોમાં ભારે આક્રોશ છે. આ કટ બંધ થતાં ન્યુ ત્રાગડ અને ચાંદખેડા વિસ્તારમાં રહેતા વાહન ચાલકોને પોતાના ઘરે પહોંચવા માટે પાંચેક કિલોમીટરનો વધારાનો ફેરો ખાવો પડી રહ્યો છે. લાંબા સમયની હાલાકી અને વારંવારની રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ યોગ્ય પગલાં ન લેવાતા, લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે.
સ્થાનિકોની માગ છે કે, ડિવાઈડર કટ ખોલાવવામાં આવે. આમ, થવાથી ચાંદખેડા સહિતના સ્થાનિકોને વધારાના ત્રણથી ચાર કિલોમીટરનું અંતર કાપવું નહીં પડે.

ભારે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા, પોલીસ ઘટનાસ્થળે
એસપી રિંગ રોડ પર સ્થાનિકોએ વિરોધ નોંધાવતા મોડી રાતે વાહનોની લાંબી કતારો લાગી છે. આ પછી પોલીસે ઘટનાસ્થળે પહોંચી વિરોધ નોંધાવતા લોકોને સમજાવવાના પ્રયાસો કરી રહી છે. રાત્રિના સમયે થયેલા આ વિરોધને કારણે મુસાફરો અને અન્ય વાહનચાલકો પણ કલાકો સુધી અટવાયા છે.

અગાઉ પણ વિરોધ નોંધાવ્યો હતો
તમને જણાવી દઈએ કે, વૈષ્ણોદેવીથી ઝુંડાલ જતા આવતો ડિવાઈડર કટ બંધ કરી દેવાતા ન્યુ ત્રાગડ અને ચાંદખેડા વિસ્તારના રહીશો છેલ્લા કેટલાક દિવસથી ભારે વિરોધ નોંધાવી રહ્યા છે. આ ડિવાઈડર કટ બંધ થવાથી વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને તેમણે 3થી 4 કિલોમીટર જેટલો લાંબો ફેરો ખાવો પડે છે. ખાસ કરીને ન્યુ ત્રાગડના રહીશોને વૈષ્ણોદેવીથી ઝુંડાલ તરફ જવા માટે આ કટ ખૂબ જ અનુકૂળ રહેતો હતો.



