Get The App

GPCBના ગાલ પર ફરી તમાચો! અમદાવાદ ગ્રામ્યના તળાવમાં ત્રીજી વખત માછલીઓના સામૂહિક મોત, કેમિકલનો ખેલ

Updated: Feb 4th, 2026

GS TEAM

Google News
Google News
GPCBના ગાલ પર ફરી તમાચો! અમદાવાદ ગ્રામ્યના તળાવમાં ત્રીજી વખત માછલીઓના સામૂહિક મોત, કેમિકલનો ખેલ 1 - image


Ahmedabad News: અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં પ્રદૂષણની સમસ્યા વિકટ બની રહી છે. બાવળા તાલુકાના કલ્યાણગઢ હાઇવે પર આવેલા એક તળાવમાં મોટી માત્રામાં માછલીઓના મોત થતા એરેરાટી મચી ગઈ છે. હાઇવે પર આવેલી એક ખાનગી કંપનીની પાછળના ભાગે આવેલા આ તળાવમાં અસંખ્ય માછલીઓ મૃત અવસ્થામાં મળી આવી, સ્થાનિકોનો આક્ષેપ છે કે કંપની દ્વારા તળાવમાં ઝેરી કેમિકલયુક્ત પાણી છોડવામાં આવે છે જેથી તળાવમાં રહેતા જળચર જીવો મોતને ભેટે છે. 

મૃત માછલીઓને બહાર કાઢી ખાડો ખોદી દફનાવી

તળાવમાં આટલી મોટી સંખ્યામાં માછલીઓના મોતને કારણે સમગ્ર વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ ગઈ છે. હાઇવે પરથી પસાર થતા વાહનચાલકો અને આસપાસના રહીશોને શ્વાસ લેવામાં પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ગંભીર ઘટના બાદ મામલો દબાવવા માટે ખાનગી કંપનીના માણસો દ્વારા તાત્કાલિક ધોરણે મૃત માછલીઓને બહાર કાઢી ખાડો ખોદીને દફન કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી, જેને લઈને પણ અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે.

માછલીઓ મરવાની આ ત્રીજી ઘટના

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં માછલીઓ મરવાની આ ત્રીજી ઘટના સામે આવી છે. અગાઉ મટોડા અને રામનગર વિસ્તારના તળાવોમાં પણ આ જ પ્રકારે પ્રદૂષિત પાણીને કારણે માછલીઓના સામૂહિક મોત થયા હતા. હવે કલ્યાણગઢની આ ઘટના ઔદ્યોગિક એકમો દ્વારા ફેલાવવામાં આવતા પ્રદૂષણ ચાડી ખાય છે, છતાં પણ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ મૂક પ્રેક્ષક બની તમાશો જોઈ રહ્યું છે. વારંવાર બનતી આવી ઘટનાઓથી પર્યાવરણ પ્રેમીઓ અને સ્થાનિક ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

GPCBની ભૂમિકા સામે સવાલો

આ ઘટનાને પગલે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB) ની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે. જ્યારે ઔદ્યોગિક એકમો ખુલ્લેઆમ કેમિકલયુક્ત પાણી છોડી રહ્યા છે, ત્યારે GPCB ના અધિકારીઓ શું ઊંઘી રહ્યા છે? કેમ ઔધોગિક એકમોમાં નિયમિત તપાસ કરવામાં આવતી નથી? વારંવાર આવી ઘટનાઓ બનવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં કેમ લેવામાં આવતા નથી? ગ્રામજનોની માંગ છે કે આ મામલે તટસ્થ તપાસ કરી જવાબદાર કંપની વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે કડક દેખરેખ રાખવામાં આવે.