Ahmedabad News: અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થા જાળવનારા નિવૃત્ત પોલીસ ઇન્સ્પેક્ટર પોતે જ પારિવારિક ત્રાસનો શિકાર બન્યા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. વર્ષ 2020માં નિવૃત્ત થયેલા હથિયારધારી પોલીસ ઇન્સ્પેક્ટર જયંતી પરમારે પત્ની, પુત્ર અને સાળીના અસહ્ય માનસિક ત્રાસથી કંટાળીને ઝેરી દવા પી આપઘાત કરી લીધો છે. આ મામલે સોલા પોલીસ સ્ટેશનમાં મૃતકના પરિવારજનો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
નિવૃત્ત PI ભારે માનસિક દબાણમાં રહેતા
મળતી માહિતી અનુસાર, જયંતી પરમાર જ્યારે પોલીસની સર્વિસમાં હતા ત્યારે બધું સામાન્ય હતું, પરંતુ નિવૃત્તિ બાદ તેમના જ ઘરમાં તેમની સ્થિતિ બદલાઈ ગઈ હતી. નિવૃત્ત થયા પછી તે હવે કોઈ કામના નથી તેમ કહીને તેમની પત્ની અને સાળી દ્વારા અવારનવાર માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. તેને ઘરમાંથી કાઢી મૂકવા માટે સતત મેણા-ટોણા મારવામાં આવતા હતા, જેના કારણે નિવૃત્ત PI ભારે માનસિક દબાણમાં રહેતા હતા.
મૃતક જયંતી પરમારને સૌથી વધુ ત્યારે દુઃખ થયું જ્યારે તેમના પોતાના પુત્રએ પણ પિતા પ્રત્યે ક્રૂર વર્તન કર્યું હતું. સુસાઈડ નોટમાં એવો આરોપ લગાવવામાં આવ્યો છે કે તેમનો પુત્ર દારૂના નશામાં અવારનવાર નિવૃત્ત PI સાથે ઝઘડો કરી શારીરિક મારપીટ કરતો હતો. પત્ની, પુત્ર અને સાળી એમ ત્રણેય તરફથી મળતા સતત અપમાન અને ત્રાસથી કંટાળીને આખરે જયંતી પરમારે મોતનો રસ્તો પસંદ કર્યો હતો. હાલમાં પોલીસ આ ત્રણેય સામે કાયદેસરની કાર્યવાહી કરી રહી છે.


