Ahmedabad Plane Crash Survivor: આ ભયાનક અકસ્માતે માત્ર 260 માસૂમ લોકોના જીવ જ નથી લીધા, પરંતુ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા અજયભાઈ પરમાર જેવા જીવતા બચેલા લોકોની જિંદગીને પણ એક જીવતું જાગતું નરક બનાવી દીધી છે. અચાનક લાગેલી એ ભયાનક આગની લપેટમાં આવી જતાં માત્ર તેમનું વાહન કે મોબાઈલ જ ખાખ નથી થયા, પરંતુ તેમનું આખું શરીર એ હદે દાઝીને વિકૃત થઈ ગયું કે લગ્નના માંડ એક જ મહિનામાં જ પત્ની પણ તેમનો સાથ છોડીને ચાલી ગઈ.
આજે અકસ્માત બાદ સરકાર તરફથી વળતરના પૈસા તો મળ્યા છે, પરંતુ આ અકસ્માતમાં વિકૃત થઈ ગયેલા શરીરને કારણે આજે કોઈ તેમને નોકરી આપવા પણ તૈયાર નથી. અજયભાઈ કાળમુખા મોત સામેનો જંગ તો જીતી ગયા, પણ આજે પોતાના જ લોકોની ઉપેક્ષા અને લાચારીની જિંદગી જીવવા મજબૂર બન્યા છે.
પ્લેન ક્રેશ થતાં આગ લાગી એમાં હું દાઝ્યો અને વ્હીકલ પણ સળગી ગયા
અજય પરમારે ગુજરાત સમાચાર ડિજિટલ સાથે વાત કરતા તે વખતની ઘટના જણાવતા કહ્યું હતું કે, 'હું સિવિલમાં નોકરી કરતો હતો. એ દિવસે બપોરે એક વાગ્યે જ્યારે હું મારી મમ્મી સાથે હતો, ત્યારે અચાનક જ એર ઇન્ડિયાના વિમાનની ભયંકર દુર્ઘટના સર્જાઈ અને હું તેની લપેટમાં આવી ગયો. આ અકસ્માતમાં આગને કારણે મારું એક્ટિવા અને મારો મોબાઈલ ફોન બંને બળીને ખાખ થઈ ગયા હતા.'
પત્ની છોડીને જતી રહી, કોઈ નોકરીએ પણ નથી રાખતું
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 'આ દુર્ઘટના વખતે મારી આસપાસ જે લોકો હતા, તેઓ બે દિવસ પછી ભગવાન પાસે જતા રહ્યા એટલે કે મૃત્યુ પામ્યા હતા. એર ઇન્ડિયા તરફથી રાકેશ ડોગરા અને મહેશભાઈ સાગવાને મૃતકોના પરિવારોને 25-25 લાખ રૂપિયા વળતર પેટે આપ્યા હતા અને મને પણ 25 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. પરંતુ આ અકસ્માતને લીધે મારી આખી ચામડી બળી ગઈ છે અને મારા હાથ-પગની હાલત અત્યંત ખરાબ થઈ ગઈ છે. મારી આ શારીરિક સ્થિતિને કારણે મારી પત્ની, જેની સાથે મેં 5થી 10 તારીખની વચ્ચે જ લગ્ન કર્યા હતા, તે મને છોડીને જતી રહી છે. એટલું જ નહીં, મારું શરીર બળેલું હોવાથી હવે લોકો મને કામ આપવાની ના પાડે છે, કોઈ મને નોકરી પર રાખવા તૈયાર નથી અને હું કામધંધા વગર ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યો છું.'


