Ahmedabad News: બાવળા-સરખેજ હાઇવે પર સાણંદ તાલુકાના મોરૈયા બ્રિજ પર એક કાળજું કંપાવી દેનારો ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે. સાળંગપુરથી વિસનગર તરફ જઈ રહેલી એક સ્વિફ્ટ કાર ટ્રક કન્ટેનર પાછળ ધડાકાભેર અથડાઈ હતી. આ ભયાનક દુર્ઘટનામાં કારમાં સવાર બે વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય ત્રણ મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માત એટલો ભીષણ હતો કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને અવાજ સાંભળીને આસપાસના લોકોના ટોળેટોળાં ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા.

ત્રણેય ઈજાગ્રસ્તોને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાયા
આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા યુવક-યુવતીઓની ઓળખ થઈ ગઈ છે, જેમાં કશિશ પ્રજાપતિ (ઉંમર 24, રહે. વિજાપુર), વેદાશી પટેલ (ઉંમર 24, રહે. પાટણ) અને વિવેક દરજી (ઉંમર 23, રહે. મહેસાણા)નો સમાવેશ થાય છે. ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક દોડી આવી હતી અને ત્રણેય ઈજાગ્રસ્તોને લોહીલુહાણ હાલતમાં અમદાવાદની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડ્યા હતા, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે. જ્યારે અકસ્માતમાં જીવ ગુમાવનાર બંને મૃતકોને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યા છે.
ચાંગોદર પોલીસે તપાસ શરૂ કરી
અકસ્માતના પગલે બાવળા-સરખેજ હાઇવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની માહિતી મળતા જ ચાંગોદર પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ભારે જહેમત બાદ અકસ્માતગ્રસ્ત વાહનોને બાજુ પર ખસેડી હાઇવે પરનો ટ્રાફિક હળવો કરાવ્યો હતો અને વાહન વ્યવહાર રાબેતા મુજબ શરૂ કર્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ, કાર ચાલકે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા આ દુર્ઘટના ઘટી હોવાનું સામે આવ્યું છે, જેના આધારે ચાંગોદર પોલીસે અકસ્માતે ગુનો નોંધી આગળની તપાસ આદરી છે.


