Get The App

અમદાવાદ મ્યુનિ.બજેટ બેઠકની ચર્ચામાં કોંગ્રેસના મહિલા કોર્પોરેટરના આક્ષેપને મેયરે રેકર્ડ ઉપરથી દુર કરાવવો પડયો

ભાજપના ચાંદલોડીયા વોર્ડના મહિલા કોર્પોરેટરે શેઠ માણેકલાલના બદલે શેઠ માણેકચંદ ઉચ્ચારણ પણ કર્યુ

Updated: Feb 20th, 2026

GS TEAM

Google News
Google News
અમદાવાદ મ્યુનિ.બજેટ બેઠકની ચર્ચામાં કોંગ્રેસના મહિલા કોર્પોરેટરના આક્ષેપને મેયરે રેકર્ડ ઉપરથી દુર કરાવવો પડયો 1 - image

અમદાવાદ,ગુરુવાર,19 ફેબ્રુ,2026

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સંલગ્ન સંસ્થાઓના વર્ષ-૨૦૨૬-૨૭ના વાર્ષિક બજેટ મંજૂર કરવા ગુરુવારથી બે દિવસની બેઠકનો આરંભ થયો છે. પહેલા દિવસે મ્યુનિસિપલ સ્કૂલબોર્ડના બજેટ ઉપરની ચર્ચા દરમિયાન કોંગ્રેસના દાણીલીમડાના મહિલા કોર્પોરેટર રમીલાબેન પરમારે શિક્ષકો અંગે કરેલા એક ગંભીર આક્ષેપને લઈ બેઠકમાં ભારે હોબાળો મચી ગયો હતો. અંતે મેયરે આ મહિલા કોર્પોરેટરના  શબ્દો રેકર્ડ ઉપરથી દુર કરાવ્યા હતા. ચાંદલોડીયા વોર્ડના ભાજપના મહિલા કોર્પોરેટર રાજેશ્વરીબેન પંચાલે મા.જે.પુસ્તકાલયની ચર્ચા દરમિયાન શેઠ માણેકલાલ જેઠાભાઈની જગ્યાએ શેઠ માણેકચંદ ઉચ્ચારણ કરતા ભાજપના જ કોર્પોરેટરો મોં ઉપર હાથ મુકી હસતા નજરે પડયા હતા.

પાંચ વર્ષની ટર્મ પુરી થઈ ગઈ. આમ છતાં અમદાવાદના વિવિધ વોર્ડમાંથી કોંગ્રેસ કે ભાજપના સિમ્બોલ ઉપર ચૂંટાઈને કોર્પોરેટર બનેલાઓને કયારે -કયાં અને શું બોલવુ તેનુ પણ જ્ઞાાન નથી તે બજેટ બેઠકમાં સામે આવ્યુ હતુ.દાણીલીમડાના મહિલા કોર્પોરેટરે દાહોદ કે પંચમહાલમાં બનેલા શિક્ષકના બનાવનો સંદર્ભ લઈ મ્યુનિસિપલ બોર્ડ બેઠકમાં  કરેલો આક્ષેપ કોઈ સંદર્ભ નહી હોવા છતાં કરી તો દીધો પછી કોંગ્રેસનેતા પણ ફસાયા.  મહિલા કોર્પોરેટરના બચાવમાં તેમણે પ્રયાસ કર્યા.પણ મેયરે ભાજપના કોર્પોરેટરોના હોબાળા વચ્ચે મહિલા કોર્પોરેટરને માફી માંગો અને તમારા શબ્દો પાછા ખેંચો કહી અંતે રેકર્ડ ઉપર મહિલા કોર્પોરેટરના આક્ષેપને દુર કરવા  મ્યુનિસિપલ સેક્રેટરીને સુચના આપી હતી.ચૂંટણી પહેલાનુ આ છેલ્લુ બજેટ હોવાથી ભાજપ અને કોંગ્રેસની નેતાગીરીએ અલગ અલગ કોર્પોરેટરો બોલી શકે એ માટે ભાષણ  તૈયાર કરાવ્યા હતા. આમ છતાં  બંને પક્ષના  મહિલા કોર્પોરેટરો તેમને આપેલા તૈયાર લખાણ પણ બરોબર વાંચી શકયા નહોતા.

વી.એસ. હોસ્પિટલ બજેટની ચર્ચામાં કોંગ્રેસના કોર્પોરેટરનો વોકઆઉટ

બપોર પછી વી.એસ.હોસ્પિટલના બજેટ ઉપર ચર્ચાનો આરંભ થયો હતો. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીના વી.એસ. હોસ્પિટલના બજેટ ઉપર વકત્વ્ય પુરુ થયા પછી ગોમતીપુરના કોર્પોરેટર ઈકબાલ શેખ ઉભા થઈ ગયા હતા. તેમની પાસે રહેલા બજેટના કાગળ છુટ્ટા ફેંકી વી.એસ.હોસ્પિટલમાં ગરીબ દર્દીના નામે વર્ષોથી રુપિયા ૨૫૦ કરોડની આસપાસના બજેટ મંજૂર કરો છો પણ દર્દીઓને લાભ તો મળતો નથી. સામાન્ય ફ્રેકચરનો કેસ હોય તો પણ દર્દીને અન્ય હોસ્પિટલમાં રીફર કરવામા આવે છે તેવો આક્ષેપ કરી વ્યકિતગત વોકઆઉટ કર્યો હતો.