Ahmedabad Mayor History: મેયરને શહેરના પ્રથમ નાગરિકનો દરજ્જો આપવામાં આવે છે. 1950માં અમદાવાદને સત્તાવાર રીતે મ્યુનિસિપલ કોર્પોરેશનનો દરજ્જો મળ્યો હતો. 76 વર્ષના આ સમયગાળામાં અમદાવાદને 7 મહિલા સહિત કુલ 39 મેયર મળેલા છે. જેમાં ચીનુભાઈ ચીમનલાલ શેઠ સૌથી વધુ 6504 દિવસ મેયરપદે રહેવાનો રેકોર્ડ ધરાવે છે. તેમણે 1 જુલાઈ 1950થી 18 ઓગસ્ટ 1956, 24 મે 1957થી 19 સપ્ટેમ્બર 1958 અને 4 મે 1959થી 4 મે 1961 એમ ત્રણ ટર્મમાં મેયર રહ્યા હતા.
ત્રણ ટર્મ અને મર્યાદા વગરનો સમયગાળો
સૌથી લાંબો સમય મેયરપદે રહ્યા હોય તેમાં કૃષ્ણવદન શંકરલાલ જોશી બીજા સ્થાને છે. તેઓ 11 જાન્યુઆરી 1972થી 25 ફેબ્રુઆરી 1974, 10 જાન્યુઆરી 1976થી 11 માર્ચ 1976 અને ત્યારબાદ 10 મે 1977થી 7 જુલાઈ 1980 એમ ત્રણ વખત મેયર રહ્યા હતા. આ પૈકી 10 જાન્યુઆરી 1976થી 11 માર્ચ 1976 એમ 61 દિવસનો સમયગાળો અમદાવાદના કોઈપણ મેયર માટે ટૂંકામાં ટૂંકો છે. સૂત્રોના જણાવ્યા અગાઉ મેયર માટે સમયગાળાની કોઈ મર્યાદા નહોતી. કાઉન્સિલર તરીકે ચૂંટાયેલી વ્યક્તિ પાંચ વર્ષ માટે આ હોદ્દો ભોગવી શકતી. 1991થી 2000ના વર્ષ દરમિયાન અમદાવાદે કુલ 7 મેયર જોયા હતા.
અમદાવાદના ઇતિહાસમાં મહિલા મેયરો
અમદાવાદમાં કુલ 6 મહિલા પણ મેયર રહી ચૂક્યા છે. જેમાં 1 મે 1995થી 19 જુલાઈ 1996 સુધી ભાવનાબેન દવે, 20 જુલાઈ 1999થી 30 જૂન 2002સુધી માલિનીબેન અતીત, 17 એપ્રિલ 2003થી 22 એપ્રિલ 2005 સુધી અનિસાબેગમ મિર્ઝા, 30 એપ્રિલ 203થી 14 ડિસેમ્બર 2015 સુધી મીનાક્ષીબેન પટેલ, 14 જૂન 2018થી 13 ડિસેમ્બર 2020 સુધી બિજલ પટેલ જ્યારે 11 સપ્ટેમ્બર 2023થી અત્યાર સુધી પ્રતિભા જૈન મેયર પદે રહી ચૂક્યા છે.
મેયર પદ પર ભાજપ-કોંગ્રેસનું વર્ચસ્વ
અમદાવાદના મેયરની યાદી જોવામાં આવે તો તેમાં ભાજપ-કોંગ્રેસનો જ દબદબો જોવા મળશે. પરંતુ તેમાં એક નામ અપવાદ છે અને તે છે સામ્યવાદી પક્ષના દિનકર મહેતા. તેઓ 4 મે 1966થી 6 મે 1967 એમ એક વર્ષ માટે અમદાવાદના મેયર રહ્યા હતા.
મહાગુજરાત આંદોલન અને ઇન્દુલાલ યાજ્ઞિક
મુંબઈના દ્વિભાષી રાજ્યમાંથી અલગ ગુજરાતની સ્થાપના માટે 1956થી ઇન્દુલાલ યાજ્ઞિકની આગેવાની હેઠળ આંદોલન ચાલ્યું હતું. તેમાં સત્તાધારી કોંગ્રેસ સામે રચાયેલી મહાગુજરાત જનતા પરિષદમાં વિવિધ વિચારધારાના નેતાઓ સામેલ થયા હતા, જેમાં સામ્યવાદી દિનકર મહેતા પરિષદના અમદાવાદ વિસ્તારના ઉપપ્રમુખ હતા. સામ્યવાદી પક્ષના ભાગ પડતા દિનકરભાઈ માર્કસવાદી સામ્યવાદી પક્ષમાં જોડાયા અને રાજ્યમાં તેમજ રાષ્ટ્રીય સ્તરે વિવિધ હોદ્દે રહ્યા હતા.
આ પણ વાંચો: તાંત્રિક વિધિના બહાને બે ગઠિયાએ વૃધ્ધા પાસે રૂા.76.66 લાખ પડાવ્યા
જેલમાંથી ચૂંટણી લડીને મેયર પણ બન્યા
દિનકર મહેતા મેયર કેવી રીતે બન્યા તેનો ઘટનાક્રમ અત્યંત રસપ્રદ છે. બન્યું એમ કે, 1965માં અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણી થઈ હતી. 'સંયુક્ત કામદાર સંઘર્ષ સમિતિ'ના દિનકરભાઈ સહિતના નવ સભ્યો જેલમાં હતા. તેમાંથી આઠ સામ્યવાદીઓ હતા. દિનકરભાઈ સહિતના આઠ જેલવાસી આગેવાનોએ કોર્પોરેશનની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી હતી. સરકારે તેમને પેરોલ ન આપતા, તે જેલમાં રહીને ચૂંટણી લડ્યા અને જીત્યા હતા. જનતા પરિષદની ભવ્ય જીત પછી તેના વિવિધ જૂથો વચ્ચે મેયરપદ માટે ખેંચતાણ શરૂ થઈ. છેવટે, દરેક જૂથના એક-એક નેતાને એક વર્ષ માટે મેયર બનાવવાનું સમાધાન થયું હતું. આમ, દિનકરભાઈ 1966થી 1967 સુધી મેયર રહ્યા હતા.


