Ahmedabad News : અમદાવાદમાં અસામાજિક તત્વોના આતંકની ઘટનામાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. ત્યારે માઘુપુરમાં પાણી મોડું લઈને આવવા જેવી સામાન્ય બાબતમાં ઠપકો આપતા એક શખ્સે તેના અન્ય મિત્રોને બોલાવીને પાણી મંગાવનાર યુવકને છરીના ઘા મારી દીધાની ઘટના સામે આવી છે. જે બાદ યુવકે બૂમાબૂમ કરતાં માથાભારે શખ્સો ત્યાંથી કાર લઈને ફરાર થઈ ગયા હતા.
યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત
યુવકને ગંભીર ઈજા થતાં તેને હોસ્પિટલમાં તાત્કાલિક દાખલ કરાવ્યો હતો અને પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. મહત્ત્વનું છે કે, અમરપુરામાં રહેતા 27 વર્ષીય રાહુલ માળી નામના શખ્સે શક્તિ રાજપૂત સહિત અન્ય બે શખ્સ સામે પોલીસ ફરિયાદ કરી છે. પોલીસે આ ફરિયાદને આધારે ત્રણેય હુમલાખોરની તપાસ હાથ ધરી છે.
સામાન્ય ઠપકામાં જીવલેણ હુમલો
ગત 1-2-2026ના રોજ રાતે માઘુપુરમાં આવેલી પીપળાવાળી ચાલીના નાકે હનુમાનજી મંદિર પાસે રાહુલ માળી તેના મિત્ર સાથે બેઠેલ હતો. તે વખતે રાહુલે શક્તિ રાજપૂત નામના શખ્સ પાસે પાણીની બોટલ લેવા મોકલ્યો હતો. જે બાદ શક્તિ નામનો શખ્સ ઘણીવાર પછી મોડો પાણીની બોટલ લઈને આવ્યો હતો. જે અંગે રાહુલે તેને ઠપકો આપતા કહ્યું હતું કે, તરસ મરી ગયા બાદ પાણી લઈને આવે છે શું કામનું?. આટલું સાંભળતા જ શક્તિ ઉશ્કેરાઇ ગયો અને ત્યાંથી જતો રહ્યો હતો. થોડિકવાર પછી રાહુલ અને તેનાના ભાઈનો મિત્ર નજીકમાં શર્મા એસ્ટેટમાં જઈને બેઠેલ હતા. ત્યાં શક્તિ અને તેના બે મિત્રો ટુવ્હીલર પર આવ્યા હતા અને ગાળો એક પછી એક એમ ત્રણ છરીના ઘા રાહુલને મારી દીઘા હતા. આ દરમિયાન રાહુલે બુમાબુમ કરતાં ત્રણે શખ્સ ત્યાંથી ભાગી ગયા હતા. આ પછી ઈજાગ્રસ્ત રાહુલને તેનો ભાઈ 108 મારફતે હોસ્પિટલ સારવાર માટે લઈ ગયો હતો.
આ પણ વાંચો :અમદાવાદમાં દોઢ વર્ષનો બાળક આખો ‘હલ્ક’ ગળી ગયો! સિવિલ હોસ્પિટલમાં કરાઇ જટિલ સર્જરી


