Get The App

અમદાવાદમાં માર્ચમાં જ અગનગોળા: ગરમીના પ્રકોપમાં ખોખરાનો નવો નકોર રોડ પીગળ્યો, વાહનચાલકો પરેશાન

Updated: Mar 11th, 2026

GS TEAM

Google News
Google News
અમદાવાદમાં માર્ચમાં જ અગનગોળા: ગરમીના પ્રકોપમાં ખોખરાનો નવો નકોર રોડ પીગળ્યો, વાહનચાલકો પરેશાન 1 - image


Ahmedabad News : કાળઝાળ ગરમી માટે જાણીતા અમદાવાદ શહેરમાં આ વર્ષે માર્ચ માસના પ્રથમ પખવાડિયામાં જ સૂર્યદેવતાએ આકરો મિજાજ દેખાડવાનું શરૂ કરી દીધું છે. શહેરમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચતા જ તેની સીધી અસર જનજીવનની સાથે શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર પણ જોવા મળી રહી છે. પૂર્વ અમદાવાદના ખોખરા વિસ્તારમાં ગત જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં બનેલો નવો રોડ ગરમીના કારણે પીગળવા લાગતા કોર્પોરેશનની કામગીરી સામે પણ સવાલો ઉભા થયા છે.



બે માસ પહેલા બનેલો રોડ 'પાણી-પાણી'

ખોખરા વોર્ડમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં સુભાષ ચોક ચાર રસ્તાથી હાટકેશ્વર શનિ મહારાજ મંદિર સુધીના આશરે પોણો કિલોમીટરના માર્ગ પર હજુ બે મહિના પહેલા જ ડામરનો નવો રોડ બનાવવામાં આવ્યો હતો. રોડને વધુ મજબૂત અને લિસ્સો બનાવવા માટે તેના પર ડામરનું ખાસ પડ પાથરવામાં આવ્યું હતું. પરંતુ, ઉનાળાની શરૂઆતમાં જ તાપમાન વધતા આ ડામર પીગળીને સપાટી પર આવી ગયો છે.

આ પણ વાંચો : પાડોશી રાજ્યની આગ ગુજરાતના છોટા ઉદેપુર સુધી પહોંચી, વાઘ સ્થળના જંગલોમાં ભીષણ દાવાનળ

રાહદારીઓ અને વાહનચાલકોની મુશ્કેલી વધી

આકાશમાંથી વરસતી ગરમીના કારણે ડામર પીગળતા રોડ પરથી પસાર થતા રાહદારીઓના ચંપલ રોડ પર ચોંટી રહ્યા છે. એટલું જ નહીં, રસ્તા પર ઉડતી ધૂળની રજકણો અને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો કચરો પણ આ પીગળેલા ડામર પર ચોંટી જતાં નવો બનેલો રોડ અત્યારથી જ બિસ્માર દેખાવા લાગ્યો છે. વાહનચાલકોને પણ લપસણા બનેલા માર્ગ પર વાહન ચલાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

નબળી ગુણવત્તા કે ગરમીનો માર?

સામાન્ય રીતે મે માસની કાળઝાળ ગરમીમાં આવી ઘટનાઓ બનતી હોય છે, પરંતુ આ વર્ષે માર્ચના પ્રારંભે જ ડામર પીગળવાની શરૂઆત થતા શહેરીજનો આશ્ચર્યમાં મુકાયા છે. સ્થાનિકોમાં ચર્ચા છે કે ગરમીની સાથે સાથે રોડ બનાવવામાં વપરાયેલા મટીરિયલની ગુણવત્તા પણ આ માટે જવાબદાર હોઈ શકે છે. અત્યારથી જ જો આવી સ્થિતિ હોય, તો એપ્રિલ અને મે માસમાં અમદાવાદના રસ્તાઓની હાલત કેવી થશે તેને લઈને અત્યારથી જ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.