Ahmedabad Food Safety: અમદાવાદમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા અને અખાદ્ય ચીજો વેચતા વેપારીઓ સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના હેલ્થ વિભાગના ફૂડ ડિપાર્ટમેન્ટે સપાટો બોલાવ્યો છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ-2006 (FSSA) અંતર્ગત શહેરના વિવિધ ઝોનમાં પહેલી જૂનથી 15મી જૂન, 2026 દરમિયાન સઘન ચેકિંગ હાથ ધરીને 1,027 ખાદ્ય એકમોમાં તપાસ કરવામાં આવી છે, જેમાં અનેક ચોંકાવનારી વિગતો સામે આવી છે.
જુદી-જુદી ખાદ્ય ચીજવસ્તુઓના કુલ 409 નમૂના લેવાયા
મળતી માહિતી અનુસાર, કોર્પોરેશનની ટીમો દ્વારા સમગ્ર શહેરમાંથી જુદી-જુદી ખાદ્ય ચીજવસ્તુઓના કુલ 409 કાયદેસરના નમૂનાઓ લેબ ટેસ્ટિંગ માટે લેવામાં આવ્યા હતા. જેમાં ઠંડાપીણા (જ્યુસ, લસ્સી, આઇસક્રીમ, શરબત, શિકંજી, બરફગોળા)ના 16, શેરડીનો રસ, મેંગો મિલ્કશેક અને તરબૂચના રસના 28, પનીર તથા દૂધ અને દૂધની બનાવટોના 88, મીઠાઈના 18, બેકરી પ્રોડક્ટ્સના 11, નમકીનના 45, બેસન, લોટ અને અનાજના 18, ખાદ્ય તેલના 12, મસાલાના 54 તેમજ અન્ય ખાદ્યપદાર્થોના 119 નમૂનાઓનો સમાવેશ થાય છે.
27 નમૂના અપ્રમાણિત જાહેર
ચાલુ માસ દરમિયાન પ્રાપ્ત થયેલા પરીક્ષણ પરિણામોમાંથી કુલ 27 નમૂનાઓ આરોગ્ય માટે હાનિકારક અને અપ્રમાણિત જાહેર થયા હતા. જેમાંથી 26 નમૂનાઓ અપ્રમાણિત જાહેર થતાં સંબંધિત ફૂડ બિઝનેસ ઓપરેટરો સામે એડજ્યુડિકેટિંગ ઓફિસર સમક્ષ કેસ દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જ્યારે એક નમૂનો આરોગ્ય માટે હાનિકારક જાહેર થતાં સંબંધિત વેપારી સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ-2006 હેઠળ નામદાર કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવશે.
ચેકિંગ દરમિયાન કુલ 307 નોટિસો ઇસ્યૂ કરવામાં આવી હતી. ઉપરાંત અંદાજે 2,089 કિગ્રા/665 લીટર બિનઆરોગ્યપ્રદ ખાદ્યપદાર્થોનો નાશ કરવામાં આવ્યો હતો તથા 5,13,500 રૂપિયાનો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો. આ ઉપરાંત કુલ 198 ટી.પી.સી ટેસ્ટ હાથ ધરવામાં આવ્યા હતા. દક્ષિણ ઝોનમાં મહાલક્ષ્મી તળાવ પાસે વટવા વિસ્તારમાં આવેલ "વીર આઝાદ કોલ્ડ્રીંક્સ ફ્રેશ જ્યુસ"માંથી લેવામાં આવેલ કાલાખટ્ટા શરબત (આઇસ ગોળા)નો નમૂનો અનસેફ જાહેર થયો હતો.
ત્રણ એકમોને સીલ કરવામાં આવ્યા
• ત્રીજી જૂન, 2026ના રોજ સોનલ સિનેમા રોડ, મકતમપુરા સ્થિત 'મુન્ના ચાઇનીઝ એન્ડ મુગલાઈ'ને અનહાઇજેનિક સ્થિતિ અને શેડ્યૂલ-4ના નિયમોનું પાલન ન થવાને કારણે સીલ કરવામાં આવ્યું.
•છઠ્ઠી જૂન, 2026ના રોજ વિજય ચાર રસ્તા, નવરંગપુરા ખાતે આવેલ 'કોફી સ્ટેન્ડ'ના કિચનમાં જીવાતો મળી આવતા તથા નિયમોનું પાલન ન થવાને કારણે સીલ કરવામાં આવ્યું.
•10મી જૂન, 2026ના રોજ કઠવાડા-નિકોલ વિસ્તારમાં આવેલ 'શ્રી માતંગી ડેરી એન્ડ ફૂડ પ્રોડક્ટ્સ'ને ફૂડ સેફ્ટી લાયસન્સ વિના કામગીરી, અનહાઇજેનિક સ્થિતિ અને નિયમોના ભંગ બદલ સીલ કરવામાં આવ્યું હતું.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા આગામી દિવસોમાં શહેરના તમામ ખાદ્ય ધંધાકીય એકમોમાં હાઇજીન, લાયસન્સ અને રજિસ્ટ્રેશન બાબતે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવશે. ચેકિંગ દરમિયાન લાયસન્સ વિના ધંધો કરતા અથવા ફૂડ સેફ્ટીના નિયમોનું પાલન ન કરતા એકમો સામે FSSA તથા GPMC એક્ટ હેઠળ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.


