Ahmedabad Flower Show: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ વર્ષે પણ સાબરમતી રિવરફ્રન્ટ પર ભવ્ય ઇન્ટરનેશનલ ફ્લાવર શૉનું આયોજન કરવામાં આવ્યું છે. 1 જાન્યુઆરીના રોજ સવારે 9 વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ મહોત્સવનું ઉદ્ઘાટન થશે, જે 25 જાન્યુઆરી સુધી ચાલશે. આ વખતે ફ્લાવર શૉ સાબરમતી રિવરફ્રન્ટના પશ્ચિમ કાંઠે સરદાર બ્રિજથી સ્વામી વિવેકાનંદ બ્રિજની વચ્ચે આવેલા ઇવેન્ટ સેન્ટર અને ફ્લાવર ગાર્ડનમાં કુલ 73,000 ચોરસ મીટરના વિશાળ વિસ્તારમાં પથરાયેલો છે.
10 લાખથી વધુ ફૂલ-છોડનો ઉપયોગ
આ વર્ષની વિશેષતા એ છે કે સમગ્ર આયોજન 'ભારત એક ગાથા' થીમ પર આધારિત છે, જેમાં ભારતની સંસ્કૃતિ, પરંપરા અને આધુનિક સિદ્ધિઓની ઝલક જોવા મળશે. પ્રદર્શનમાં 167થી વધુ અદ્ભુત સ્કલ્પચર્સ અને 48થી વધુ પ્રજાતિના અંદાજે 10 લાખથી વધુ ફૂલ-છોડનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
અમદાવાદ ફ્લાવર શૉનું મનમોહક આયોજન
- જગ્યા: સરદારબ્રીજથી એલિસબ્રીજની વચ્ચે પશ્ચિમબાજુએ સાબરમતી રિવરફ્રન્ટમાં ઇવેન્ટ સેન્ટર અને ફ્લાવર ગાર્ડનમાં
- વિસ્તાર: ટોટલ 73000 સ્કે.મીટર એરિયાની અંદર ફ્લાવર શૉનું આયોજન
- થીમ: આ વખતનું ફ્લાવર શૉનું શીર્ષક છે ભારત એક ગાથા
- તારીખ: 1થી 25 જાન્યુઆરી સુધી
- સમય: સવારે 9:00 વાગ્યાથી રાત્રે 10:00 વાગ્યા સુધી
- 167થી વધુ સ્કલ્પચર્સ: દિવાળીની ઝલક, ગરબાની થીમનું ખાસ ધ્યાન (બંનેને ઇન્ટેન્જીબલ હેરિટેજ તરીકે યુનેસ્કોમાં માન્યતા પ્રાપ્ત છે)
- 10 લાખથી વધુ ફૂલછોડ: કુલ 48 પ્રકારના અલગ અલગ ફ્લાવરની જાતનો ઉપયોગ, ભારતીય વાતાવરણ અનુકૂળ આવે તેનું ખાસ ધ્યાન
- મેન પાવર: સ્કલ્પચરની એજન્સી, સફાઈ કર્મચારી, ઈલેક્ટ્રિક વિભાગ, પાણી વિભાગ મળીને ચાર હજારની વધુ કારીગરો/મજૂરની મહેનત
- સુરક્ષા: લોકોની સુરક્ષા માટે સીસીટીવી કેમેરા અને રિયલ ટાઇમ ક્રાઉડ મેનેજમેન્ટ સિસ્ટમ હશે.
કુલ 6 ઝોન, દરેકની વિશેષતા અલગ
આ ફ્લાવર શૉને કુલ 6 ઝોનમાં વિભાજિત કરવામાં આવ્યો છે. પ્રથમ ઝોનમાં ભારતના તહેવારોની પ્રતિકૃતિઓ છે, જેમાં યુનેસ્કો દ્વારા માન્યતા પ્રાપ્ત દિવાળીના પર્વનું વિશેષ આકર્ષણ છે. બીજા ઝોનમાં ભારતીય નૃત્યો અને ત્રીજા ઝોનમાં પૌરાણિક ભારતની થીમ પ્રદર્શિત કરાઈ છે. ચોથો ઝોન ગિનીસ બુક ઑફ વર્લ્ડ રૅકોર્ડ માટેના વિશેષ પ્રયાસો માટે ફાળવવામાં આવ્યો છે, જેમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે તેમનું સૌથી મોટું ફ્લાવર પોર્ટ્રેટ અને ફૂલોથી બનેલું વિશાળ મંડાલ આર્ટ લોકોના આકર્ષણનું કેન્દ્ર બનશે. પાંચમા ઝોનમાં ભારતે અવકાશ અને અન્ય ક્ષેત્રોમાં મેળવેલી સિદ્ધિઓનું પ્રદર્શન છે, જ્યારે છઠ્ઠો ઝોન ખાસ કરીને બાળકોના મનોરંજન માટે તૈયાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, ગરબા અને મિશન 4 મિલિયન ટ્રી જેવા સામાજિક અભિયાનોની પ્રતિકૃતિઓ પણ મૂકવામાં આવી છે.

ટિકિટના દર પર કરો નજર
મુલાકાતીઓની સુવિધા માટે એએમસી દ્વારા ટિકિટિંગ અને ક્રાઉડ મેનેજમેન્ટની આધુનિક વ્યવસ્થા કરવામાં આવી છે. સોમવારથી શુક્રવાર દરમિયાન ટિકિટનો દર 80 રૂપિયા અને શનિ-રવિ કે જાહેર રજાના દિવસે 100 રૂપિયા રાખવામાં આવ્યો છે. 12 વર્ષથી નીચેના બાળકો, એએમસી સ્કૂલના વિદ્યાર્થીઓ, દિવ્યાંગો, સૈનિકો અને પત્રકારો માટે પ્રવેશ તદ્દન નિશુલ્ક છે, જ્યારે અન્ય શાળાના બાળકો માટે સવારના સમયે માત્ર 10 રૂપિયા ફી રાખવામાં આવી છે. શાંતિથી નિહાળવા માંગતા લોકો માટે 500 રૂપિયાની ટિકિટ સાથે 'પ્રાઇમ સ્લોટ'ની પણ વ્યવસ્થા છે.
આ વખતે ફ્લાવર શૉનું મુખ્ય આકર્ષણ, (ગિનીસ બુક ઑફ વર્લ્ડ રૅકોર્ડ માટે)
- બિગેસ્ટ ફ્લાવર પોર્ટ્રેટ: ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતી નિમિત્તે
- મંડાલા આર્ટ: એકાગ્રતા માટે લોકો મંડાલા આર્ટનો સહારો લેતાં હોય છે ત્યારે ફૂલોથી વર્લ્ડનું મોટામાં મોટું મંડાલા આર્ટ ફૂલોથી સજાવાશે
આ આખા આયોજન પાછળ અંદાજે 14થી 15 કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે. તો સ્પોન્સરશિપ અને સ્ટોલ્સના માધ્યમથી કોર્પોરેશનને મોટી આવક પણ થશે. આ ફ્લાવર શૉ દ્વારા હજારો લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારી મળવાની સાથે અમદાવાદના પ્રવાસન અને અર્થતંત્રને પણ વેગ મળશે.
માણો ફ્લાવર શૉની એક ઝલક














